સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની નિમણૂકને ગેરકાયદે ઠેરવી તેમને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. જે બાદ કલાધર આર્યએ ઇન્ચાર્જ કુલપતિ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યને સભ્યપદેથી દૂર કરવાનો મામલો
પૂર્વ કુલપતિ ડૉ.નીતિન પેથાણી દ્વારા કરાઈ હતી નિમણૂક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ કલાધર આર્યને બોર્ડના સભ્યપદ, એકેડમિક કાઉન્સિલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. ગિરીશ ભિમાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યની નિમણૂકને ગેરકાયદે ઠેરવી છે. કાલાઘર આર્ય તબલા અને પરફોર્મિંગ આર્ટ્સના સદસ્ય હતા. મહત્વનું છે કે, કલાધર આર્યની નિમણૂક પૂર્વ કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ કરી હતી.
નિયમ વિરુદ્ધ જઈ મને હટાવવાનો કર્યો છે આદેશઃ કલાધર આર્ય
આ મામલે કલાધર આર્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, 'નિયમ વિરુદ્ધ જઈ સભ્ય પદેથી મને હટાવવાનો આદેશ કર્યો છે. હું આ મામલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરીશ.'
મેં ખોટા કામ સામે ઉઠાવ્યો હતો અવાજઃ આર્ય
તેઓએ જણાવ્યું કે, 'યુનિવર્સિટીમાં જે ખોટાં કામ કર્યા તેની સામે અવાજ ઉઠાવ્યો, મેં કર્મચારીઓની ભરતી સહિતનો મુદ્દો ઉઠાવ્યો હતો એટલે કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે.'
અગાઉ હાર્દિક ગોહિલે પણ કરી હતી ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી હાર્દિક ગોહિલે ડૉ. આર્યની નિમણૂકને ગેરકાયદે હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.નીતિન પેથાણીએ આ નિમણૂકને યુનિવર્સિટીના અધિનિયમ પ્રમાણે કરી હોવાની સ્પષ્ટતા કરી હતી. જે બાદ તાજેતરમાં નંદાભાઈ કડમૂલે દ્વારા આ મામલે ગત 28મી ડિસેમ્બરે ઈનચાર્જ કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે પોતની રજૂઆતમાં કહ્યું હતું કે, પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી બોર્ડના સભ્ય તરીકે ડૉ. આર્યની નિમણૂક યુનિવર્સિટીના એક્ટ વિરુદ્ધ છે. તેથી હવે કાર્યવાહી કરવામાં આવી છે.