નારંગી શિયાળામાં મોટા પ્રમાણમાં મળે છે. ખાટું-મીઠું આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે.
નારંગીના અઢળક ફાયદા
નારંગીની છાલથી વજન ઘટે
પાચનક્રિયા વધારવામાં મદદ કરે છે
આપણે નારંગી ખાતાં પહેલાં તેની છાલ કાઢી ફેંકી દઈએ છીએ, પરંતુ હવે નારંગીની છાલને નકામી સમજીને ડસ્ટબિનમાં ન નાખશો. નારંગીની છાલના ઘણા ઉપયોગો છે, જે તમારા પૈસા અને સમય બંને બચાવે છે. તેના કેટલાક ઉપયોગો જાણો અને તેને અપનાવો.
નારંગીની છાલ ઘટાડશે વજન
નારંગીમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત તેમાં ફાઇબરની માત્રા ખૂબ વધારે છે, જે ભૂખ કાબૂમાં રાખે છે. નારંગીની જેમ જ તેની છાલમાં પણ વિટામિન- સી હોય છે, જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. નારંગીની છાલ ચયાપચય વધારવામાં મદદ કરે છે.
હેંગઓવર દૂર કરે છે
નારંગીની છાલ હેંગઓવરને દૂર કરવામાં મદદ કરે છે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે નારંગીની છાલને ૧૫-૨૦ મિનિટ ઉકાળો અને તેને ચાની જેમ પીઓ.
પાચનમાં મદદરૂપ
નારંગીની છાલમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે પાચન અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સમસ્યાઓ જેવી કે ઝાડા, હાર્ટ બર્ન અને એસિડિટીના ઈલાજમાં મદદ કરે છે. નારંગીની છાલની ચા પીવાથી આ સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો.
ત્વચા ગ્લો કરે છે
નારંગીની છાલ ત્વચા માટે એક વરદાન માનવામાં આવે છે. તે બ્લેક હેડ્સ, ડેડ સેલ્સ, પિમ્પલ્સ અને ચહેરા પરના ડાઘનો ઈલાજ કરે છે. તે તમારો ચહેરો પણ ચમકાવે છે. તમે વધારે ગ્લો મેળવવા અથવા ટેન દૂર કરવા માટે નારંગીની છાલના પાઉડર સાથે દૂધ અથવા દહીં ઉમેરી તેનો ઉપયોગ કરી શકો છો
વાળને કન્ડિશનિંગ કરો
નારંગીમાં જોવા મળતું વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. હોમ મેડ કન્ડિશનર બનાવવા માટે નારંગીની છાલને પીસી વાળમાં લગાવો. તેને સતત લગાવવાથી વાળ નરમ અને મુલાયમ બનશે.
સિંકમાંથી આવતી દુર્ગંધ દૂર કરો
સિંકમાંથી આવતી ગંધને તાત્કાલિક દૂર કરવાની જરૂર હોય છે. દુર્ગંધ દૂર કરવા માટે સિંકમાં એક ચપટી નારંગીની છાલનો પાઉડર નાખો. નારંગીની છાલમાં કુદરતી તેલ અને રસ હોય છે, જે ગ્રીસ અને ગંદકીને દૂર કરે છે.
સ્ટેનલેસ સ્ટીલને પોલિશ કરો
જો તમારાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણમાં તેલના ડાઘા પડી ગયા હોય તો તમે તેને દૂર કરવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો. તમે સ્ટેનલેસ સ્ટીલનાં વાસણની સપાટી પર નારંગીની છાલ ઘસીને નવા જેવી બનાવી શકો છો. આ એક હોમ મેડ ક્લીનર છે.