ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાર્ટી દ્વારા તમામ લેવલે પુરજોશથી પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમાં પણ સોશિયલ મીડિયા લોકો સુધી આસાનીથી પહોંચવાનું એક મજબૂત પ્લેટફોર્મ છે. લોકો પોતાની પાર્ટીમાં જોડાય તથા ફોલોઅર્સ વધે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે અરવલ્લીના માલપુરમાં મામલતદારના જોહુકમી ભર્યા આદેશથી ચકચાર મચી છે.
રેવન્યુ તલાટીને ફોલોઅર્સ વધારવાનુ કામ સોંપ્યુ
અરવલ્લીના માલપુરમાં મામલતદાર ધવલ બડત દ્વારા રેવન્યુ તલાટીને ટ્વીટર પર ફોલોઅર્સ વધારવાનો આદેશ આપવામાં આવ્યો. દરરોજ 10 ફોલોઅર્સ વધારવાની કામગીરી સોંપવામાં આવી. જો કોઇ અનફોલો થાય તો બીજા ફોલોઅર્સ વધારવાનો નિર્ણય લેવાયો. આ અંગેનો પત્ર વાયરલ થતા મામલતદારના નિર્ણય સામે અનેક સવાલો થઇ રહ્યા છે. મામલતદારના આ આદેશની મહેસૂલ વિભાગ દ્વારા નોંધ લેવાઇ.
સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનો હેતુ- મામલતદાર
મામલતદારના આ પરિપત્રને લઇને મહેસૂલ વિભાગ રિપોર્ટ માંગવામાં આવ્યો જેમાં મામલતદારે ખુલાસો કરતા જણાવ્યું કે સરકારી યોજના લોકો સુધી વધુમાં વધુ પહોંચે તે હેતુથી આ કામ સોંપવામાં આવ્યુ. આ પત્ર લખવા પાછળ અમારો કોઇ ખોટો હેતુ નથી. ટાસ્ક આપવાનો ઉદ્દેશ્ય એ છે કે માલપુર તાલુકાની વસતી ને સરકારની નવી યોજનાઓ વિશે જાણ કારી મળી શકે. આ માટે એક જ કર્મચારીને આદેશ કરવામાં આવ્યો છે. આખા તાલુકામાં સરકારની નીતિ-યોજના પહોંચી શકે તેવા હેતુથી આ આદેશ આપવામાં આવ્યો હોવાનું માલપુરના મામલતદારે જણાવ્યું હતું.
રેવન્યુ તલાટી ફોલોઅર્સ શોધશે ?
ત્યારે અહીં સવાલ એ થાય છે કે માલપુરના મામલતદારે તઘલઘી નિર્ણય કેમ કર્યો. શું રેવન્યુ તલાટી મામલતદારના ફોલોઅર્સ વધારશે? રોજ 10 ફોલોઅર્સ વધારવાની તલાટીની જવાબદારી કેમ? માલપુરના મામલતદારે આવો નિર્ણય કરતા પહેલા વિચાર્યુ નહીં હોય? શું મહેસૂલ વિભાગ મામલતદાર સામે એકશન લેશે? શું અધિકારીઓ મનફાવે તેવા કામ તેમના જુનિયર પાસે કરાવી શકે? રેવન્યુ તલાટી શા માટે મામલતદારના ફોલોઅર્સ શોધે?