બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Mahamanthan / શિસ્તબદ્ધ પાર્ટીમાં કેમ વધી ઉકળાટની સ્થિતિ? આખરે ભાજપમાં આ જૂથવાદ આવ્યો ક્યાંથી?
Last Updated: 09:15 PM, 10 May 2024
રાજકીય પક્ષમાં આંતરિક કકળાટની જ્યારે ચર્ચા થાય ત્યારે મોટેભાગે ભાજપ સિવાયના પક્ષની ચર્ચા હોય પણ 2024ની લોકસભા ચૂંટણીમાં થોડું જુદું ચિત્ર છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને ભાજપમાં કકળાટ સામે આવી રહ્યા છે. આ કકળાટનું એપી સેન્ટર અમરેલી કહીએ તો પણ ખોટું નથી. અમરેલીના સાંસદ અને વરિષ્ઠ નેતા નારણ કાછડિયાનું દર્દ છલકાયું અને તેમણે સીધે સીધો આરોપ પક્ષની ટોચની નેતાગીરી સામે મુક્યો. નારણ કાછડિયાએ ભરત સુતરિયાની પસંદગી સામે તો સવાલ ઉઠાવ્યા જ સાથે એવુ પણ કહ્યું કે અમરેલીમાં નિરસ મતદાન પાછળ ઉમેદવારની પસંદગી અને કાર્યકરોની નારાજગી જ સીધી રીતે જવાબદાર છે. કકળાટનો બીજો એપિસોડ અરવિંદ લાડાણીએ શરૂ કર્યો જેમા તેમણે સીધો આરોપ મુક્યો કે જવાહર ચાવડા મને હરાવવા સક્રિય છે અને તેમના દીકરાએ 4મેના રોજ ગુપ્ત બેઠક બોલાવીને મને હરાવવાનો કારસો ઘડ્યો હતો. તમામ ઘટનાક્રમની વચ્ચે ઈફ્કોની ચૂંટણીમાં જે કંઈ થયું તે સર્વવિદિત છે અને રાદડિયાની જીતની પણ પશ્ચાદવર્તી અસરો થવાની છે તેવું અત્યારે તો લાગી રહ્યું છે. ભાજપ એટલે શિસ્તબદ્ધ પાર્ટી અને કેડરબેઝ્ડ પાર્ટી આ બ્રહ્મવાક્ય તરીકે ગણાતું આવ્યું છે. તો આટલી શિસ્તબદ્ધ પાર્ટીમાં ઉકળાટની સ્થિતિ કેમ થઈ. તાજેતરમાં જે કોઈ ઘટનાક્રમ બન્યા અને અગાઉ પણ ઉમેદવારની પસંદગી પછી વિરોધને જોતા ઉમેદવાર બદલવા પડ્યા તેવી સ્થિતિ ભાજપ માટે ઉકળતા ચરુની શરૂઆત છે કે કેમ?
ADVERTISEMENT
અસંતોષની ચર્ચા
ADVERTISEMENT
ભાજપમાં આંતરિક અસંતોષની ચર્ચાએ જોર પકડ્યું છે. વરિષ્ઠ નેતાના દર્દ સતત છલકાય રહ્યાં છે. નારણ કાછડિયાએ પણ બળાપો ઠાલવ્યા અને ઉમેદવારની પસંદગી, કાર્યકરોની ઉદાસીનતાનો મુદ્દો ઉઠાવ્યો છે. સવાલ એ છે કે પાયાનો કાર્યકર પોતાના પક્ષ પાસેથી શું ઈચ્છે છે? ચોક્કસ સ્તરે પહોંચીને પક્ષ કાર્યકરોની વાત નથી સાંભળતો? નારણ કાછડિયાનું દર્દ ઉકળતા ચરુની શરૂઆત છે? વરિષ્ઠ નેતાના બળાપાને પક્ષ ગંભીરતાથી લેશે?
નારણ કાછડિયાએ શું કહ્યું?
નારણ કાછડિયાએ કહ્યું કે, બહારનો વ્યક્તિ સવારે પક્ષ છોડીને ભાજપમાં આવે છે અને બપોરે તેને કોઈ હોદ્દો મળી જાય છે, બીજા દિવસે ટિકિટ મળે છે. જેની સામે પડ્યા હોય તેને જ આવકારવા પડે છે. પાયાનો કાર્યકર નીચે બેસે છે જ્યારે ગઈકાલે આવેલાને સ્ટેજ મળે છે. ઈન્ટરવ્યૂ પણ ન આપી શકતા કે થેંક યુ પણ ન બોલી શકનારને ટિકિટ મળી જાય છે. હું 3 ટર્મ સાંસદ છું, ભાજપે મારા માટે જે કર્યું તેનો આભારી છું. પક્ષનું ઋણ હંમેશા મારા ઉપર રહેશે. મને ટિકિટ ન મળી તેનું મને દુ:ખ નથી. હું 38 વર્ષથી ભાજપમાં છું. કાર્યકર માટે હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. અમરેલીમાં 1.50 લાખ મત ઓછા પડ્યા છે. રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે. દિલીપભાઈએ જે ઈલુ-ઈલુની વાત કરી તે સાચી છે અને અમરેલીમાં નિરસ મતદાન પાછળ ઉમેદવારની પસંદગી કારણભૂત છે. કાર્યકરોમાં ઉત્સાહ નહતો એટલે પણ મતદાન ઓછું થયું તેમજ અમરેલીમાં ભાજપ જીતશે એમા કોઈ શંકા નથી. ભાજપની લીડ ઘટશે તે પણ નિશ્ચિત છે
અગાઉ પણ થયા હતા વિવાદ
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી દરમિયાન વિવાદ થયા છે. વડોદરા, સાબરકાંઠા બેઠક ઉપર ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ સામે જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો હતો. જ્યોતિબેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. રંજનબેન ભટ્ટ તરફથી જ ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી હતી. ભીખાજી ઠાકોર સામે સાબરકાંઠામાં પત્રિકાઓ ફરતી થઈ હતી. પક્ષે ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી. શોભનાબેન બારૈયા સામે પણ સ્થાનિક સ્તરે વિરોધ થયો હતો
અરવિંદ લાડાણીનો આરોપ શું?
અરવિંદ લાડાણીએ કહ્યું કે, જવાહર ચાવડાએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે. જવાહર ચાવડાના દીકરાએ 4મેના રોજ બેઠક બોલાવી હતી. બેઠકમાં મને હરાવવા માટેનો કારસો ઘડવામાં આવ્યો. જવાહર ચાવડાના દીકરાએ કહ્યું કે પિતાની હારનો બદલો લેવાનો છે. મેં પત્ર લખીને પ્રદેશ પ્રમુખને જાણ કરી છે
વાંચવા જેવું: હજુ તો એક મહિનો જ થયો છે, ત્યાં તો વડોદરામાં રોડ પીગળવાનો શરૂ, વાહનચાલકો તોબા-તોબા
IFFCOની ચૂંટણી ચર્ચામાં કેમ રહી?
IFFCOની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. બિપીન પટેલને મેન્ડેટ છતા જયેશ રાદડિયાએ ડિરેક્ટરની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. IFFCOની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયા ચૂંટાઈ આવ્યા, 180માંથી 113 મત જયેશ રાદડિયાને મળ્યા હતા. ચૂંટણી સંપન્ન થયા બાદ સી.આર.પાટીલે કહ્યું હતું કે એક વ્યક્તિ એક હોદ્દો ભોગવે છે. સી.આર.પાટીલે સહકારી ક્ષેત્રે મેન્ડેટની પ્રથાનું સમર્થન કર્યું હતું. ચૂંટણી પૂર્ણ થયા બાદ બિપીન પટેલે આડકતરી રીતે સંઘાણી ઉપર કટાક્ષ કર્યો, બિપીન પટેલે કહ્યું કે સંઘાણી વિધાનસભાની ચૂંટણી જીત્યા હોત તો મને આનંદ થયો હોત.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT