મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 132 મૃતકોના નામનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું
મૃત્યુ પામેલા પૈકી 132 મૃતકોની નામજોગ યાદી જાહેર
હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. એવામાં મૃત્યુ પામેલા પૈકી 132 મૃતકોની નામજોગ યાદી જાહેર કરી દેવામાં આવી છે.
132 મૃતકોની નામજોગ યાદી જાહેર
તંત્ર દ્વારા 132 મૃતકોની નામજોગ યાદી જાહેર કરવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે આ દુર્ઘટનામાં 141થી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. દુર્ઘટનાને પગલે તુરંત રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે વહેલી સવારે મોરબી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીએ આખી રાત નિરીક્ષણ કર્યું: સંઘવી
મોરબી દુર્ઘટના મામલે સોમવારે ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે મુખ્યમંત્રી મોડી રાતે મોરબી પહોંચ્યા અને તે બાદ તેમણે પહેલા ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તે બાદ હોસ્પિટલમાં પીડિતો સાથે સંવાદ કર્યો, તે બાદથી જ તેઓ કલેકટર કચેરીથી સતત રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આટલું જ નહીં આખી રાતે PMO ની એક ટીમ પણ તમામ કામો પર નિરીક્ષણ રાખી જરૂરી પગલાં લઈ રહી હતી.
મોરબીની દુર્ઘટનાના CCTV સામે આવ્યા
મોરબી માટે રવિવારની સાંજ ગોઝારી સાબિત થઈ. ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાશાયી થયોને એકસાથે 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મચ્છુ નદીમાં હજુ પણ અનેક મૃતદેહો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે મોરબીની દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઝૂલતો પુલ તૂટ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પુલ તૂટતો નજરે પડી રહ્યો છે. પુલ તૂટ્યા પહેલા ઝૂલી રહ્યો હતો. પુલ તૂટતાં જ તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. CCTVમાં દેખાઈ રહ્યું છે કે, માત્ર 3 સેકન્ડની અંદર પુલ તૂટે છે. આ પુલ તૂટવાની ઘટના સાથે જ 500થી વધુ લોકોએ મોતને નજર સામે જોઈને કિલકારીઓ બોલાવી હતી. જે બાદ અચાનક તમામ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા અને ચારેબાજુ ચિચિયારીઓ સંભળાઈ.