સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીમાં ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આમાં ભુપેન્દ્રસિંહ માન, ડો પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ ધનવંતની સામેલ છે. આ કમિટીનો જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને કોંગ્રેસ દ્વારા આ કમિટીમાં સામેલ સભ્યોનો કૃષિ કાયદા સમર્થક તરીકે વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ મહારાષ્ટ્રમાં સરકારમાં કોંગ્રેસ સાથે સામેલ NCP ના વડા શરદ પવારે સુપ્રીમ કોર્ટના આ પગલાનું સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસના સહયોગી પક્ષ NCP એ સુપ્રીમના પગલાંને આવકાર્યું
શરદ પવારે કહ્યું,' હવે ખેડૂતો અને સરકાર વચ્ચે નક્કર સંવાદ થશે '
ખેડૂતો અને સરકારના વિવાદ સમાધાન માટે સુપ્રીમે કમિટી રચી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP ના પ્રમુખ શરદ પવારે મંગળવારે સુપ્રીમ કોર્ટના ત્રણ નવા કૃષિ કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂકવાના આદેશ અને સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેની મડાગાંઠને ઉકેલવા ચાર સભ્યોની સમિતિની રચના કરવાના આદેશને આવકાર્યો છે. તેમણે કહ્યું કે મને આશા છે કે હવે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે નક્કર સંવાદ યોજાશે.
શરદ પવારે કોર્ટના આદેશ પર ટિ્વટ કરીને કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓનો અમલ અટકાવવા અને આ મુદ્દાને હલ કરવા માટે ચાર-સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આવકાર્ય છે".પોતાની આગામી ટવીટમાં શરદ પવારે કહ્યું, "તે ખેડૂતો માટે મોટી રાહત છે અને હું આશા રાખું છું કે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે હવે નક્કર વાતચીત શરૂ થશે, જે ખેડૂતોના ફાયદા અને કલ્યાણની કાળજી લેશે."
સુપ્રીમ કોર્ટે મંગળવારે ત્રણ નવા કૃષિ કાયદાઓને લઈને સરકારની અને દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચેની મડાગાંઠને સમાપ્ત કરવા એક નિણર્ય કર્યો હતો, જેમાં આ વિવાદને ઉકેલવા માટે ચાર સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે જે બધાનો પક્ષ સાંભળશે અને સુપ્રીમ કોર્ટને પોતાની રિપોર્ટમાં ભલામણો સબમિટ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કમિટીએ બે મહિનાની અંદર તેનો રિપોર્ટ સોંપી દેવો પડશે અને આ કમિટીની પ્રથમ બેઠક આજથી 10 દિવસની અંદર મળશે.
કોંગ્રેસ અને રાકેશ ટિકૈત કમિટીના સભ્યોનો કરી રહ્યા છે વિરોધ
મહત્વનું છે કે કૃષિ કાયદાઓને લઈને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવાર પહેલાથી જ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં રહ્યા છે, આ મુદ્દે કેન્દ્ર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સરકારે એવા લોકોને ખેડૂતોની સાથે મિટિંગ કરવા મોકલવા જોઈએ, જેને ખેતીની સમજ હોય, માત્ર દિલ્હીમાં બેસીને આ વિવાદને ન ઉકેલી શકાય, જો કે હવે જ્યારે કોંગ્રેસ અને ખેડૂત નેતા સુપ્રીમની આ સમિતિના સભ્યોના બેકગ્રાઉન્ડ પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે શરદ પવારે આ કમિટીનું સમર્થન કર્યું છે.