નિર્ભયા કેસમાં તમામ બળાત્કારીઓનો કેસ લડનાર એડવોકેટ એ.પી. સિંહ હવે હાથરસ કેસના આરોપીઓ વતી વકીલ તરીકે કેસ લડશે. એ.પી. સિંહ ને આરોપીની હિમાયત કરવા માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા એડવોકેટ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
નિર્ભયા કેસના આરોપીઓના વકીલ જ લડશે હાથરસના આરોપીઓનો કેસ
યુપીમાં હાથરસ ગેંગરેપની ઘટના બાદ વિપક્ષ યોગી સરકાર પર છે સતત આક્રમક
ક્ષત્રિય મહાસભા દ્વારા એ.પી. સિંહ ની આરોપીઓના વકીલ તરીકે નિયુક્તિ કરાઇ
ઉત્તર પ્રદેશ માં હાથરસ ની ઘટના બાદ વિપક્ષે સતત યોગી સરકાર પર આક્રમક વલણ અપનાવ્યું છે. તે જ સમયે, યુપી સરકાર નું કહેવું છે કે યુપી માં વિદેશી ભંડોળ દ્વારા કોમવાદી તત્વોને ભડકાવીને તોફાનો ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
બંને સમુદાયો એકત્રિત થઈ રહ્યા છે, હાથરસ કેસ બાબતે રાજકારણ તીવ્ર છે
આ બધાની વચ્ચે, જ્યારે આ ઘટના અંગે મોટા ભાગનો દલિત વર્ગ જ્યારે એકત્રિત થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલીક સંસ્થાઓ પણ આરોપીઓ ની તરફેણ કરતી જોવા મળી રહી છે.
આ કેસમાં તાજેતરની માહિતી મુજબ નિર્ભયા કેસ માં તમામ બળાત્કારીઓનો કેસ લડનાર બચાવ પક્ષના વકીલ એ.પી. સિંહ હવે હાથરસ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે કેસ લડશે. આરોપીની હિમાયત કરવા માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા એ.પી. સિંહ ની એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કોંગ્રેસી નેતાએ જ ચાર યુવકો માટે વકીલની નિમણૂક કરવા પત્ર લખ્યો
પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજા માનવેન્દ્ર સિંહ વતી એ.પી. સિંહ ને હાથરસના આરોપીનો કેસ લડવાનું ખાસ કહેવામાં આવ્યું છે. માનવેન્દ્રસિંહે પત્રમાં કહ્યું છે કે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા આ કેસ લડવા માટે પોતાની રીતે પૈસા એકત્રિત કરશે અને આ કેસના એડવોકેટ એ.પી. સિંહ ની ફી ચૂકવશે.
આ પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાથરસ કેસ દ્વારા SC - ST એક્ટ નો દુરૂપયોગ કરીને ઉચ્ચ જાતિના સમાજની બદનામી કરવામાં આવી રહી છે, જેનાથી ખાસ કરીને રાજપૂત સમાજને ઘણું નુકસાન થયું છે. આ સમજણ લોકોને ઘણું સહન કરવાનું આવ્યું છે.
તેથી આ કેસમાં બચાવ પક્ષ દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેખાડવાની જરૂરિયાતના પગલે વકીલ એ.પી. સિંહ દ્વારા ચાર યુવકોનો પક્ષ મૂકાવવામાં આવે તે પ્રકારનો નિર્ણય લેવાયો છે. જો કે એક માહિતી મુજબ એડવોકેટ એ.પી. સિંહ ને હાથરસ કેસમાં આરોપીના પરિવાર તરફથી વકીલાત કરવા પણ કહેવામાં આવ્યું હતું.
કોણ છે પૂર્વ કેન્દ્રીય પ્રધાન માનવેન્દ્રસિંહ?
રાજા માનવેંદ્રસિંહ અથવા કુંવર માનવેન્દ્રસિંહ તરીકે ઓળખાતા આ નેતા કોંગ્રેસની પૂર્વ કેન્દ્રીય સરકારોમાં પ્રધાન તરીકે રહી ચૂક્યા છે. હાલમાં ક્ષત્રિય સમાજના સંગઠન અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. વી પી સિંહ ની સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે રહી ચૂક્યા છે અને આ પહેલા મથુરા લોકસભા સીટ ઉપરથી ત્રણ વાર જીતીને સાંસદ પણ બની ચૂક્યા છે.
અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યાં એક બાજુ કોંગ્રેસના જ પૂર્વ નેતા હાથરસ કેસના ચાર યુવકો માટે વકીલ નીમવાની ભલામણ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના જ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મૃતક યુવતીના ઘરે જઈને તેના પરિવારને મળી તેને સાંત્વના પાઠવતા જોઈ શકાતા હતા.