શિવરાત્રીના દિવસે ગીરનારની તળેટીમાં ભવ્ય મેળો ભરાય છે. દેશભરમાંથી લાખો સાધુ-સંતો ઉમટી પડે છે. તેવામાં આ વર્ષે શિવરાત્રી દરમિયાન ગીરનારમાં મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ માટે રાજ્ય સરકારે 15 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. એટલે કે આ વર્ષે શિવરાત્રીના મેળામાં અદ્ભૂત આકર્ષણ જોવા મળશે.
CM વિજય રૂપાણીએ ગત વર્ષે જૂનાગઢના મેળાની મુલાકાત દરમિયાન મહાશિવરાત્રીના મેળાને મીની કુંભ મેળા તરીકે યોજવાની જાહેરાત કરી હતી.
જ્યારે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી શિવરાત્રી દરમિયાન યોજાનારા જૂનાગઢના મેળાનું મીની કુંભ મેળા તરીકે ઉજવવા માટેના આયોજનને ઓપ આપવામાં આવ્યો છે.
ગિરનાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. જે અંગે ગાંધીનગરમાં આજે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.