કોળી સમાજના કેબિનેટ મંત્રી કપાશે તો પરિણામ ભોગવવા ચિમકી
નવા મંત્રીમંડળની જાહેરાત અગાઉ ભાજપમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે સગઠન અને હાઇકમાન્ડના નિર્ણય સાથે શિસ્ત બધ્ધ રીતે વળગી રહેતા નેતાઓના સમર્થક ભાજપના કાર્યકરો નો રિપીટ થિયરીનો વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને કોળી સમાજમાંથી આવતા મોટા નેતા કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જવાની શક્યતાને લઈ મોટો વિવાદ સર્જાયો છે. PM મોદીને પત્ર લખીને કુંવરજી બાવળીયા માટે કેબિનેટમાં મહત્વનું સ્થાન આપવા માગ કરી છે.
કુંવરજીના ભત્રીજાએ જસદણમાં કોળી સમાજની બેઠક બોલાવી
ભાજપમાં હાલ મંત્રી મંડળની રચના માટે મંત્રીઓના નામને લઈને મનોમંથન થઈ રહ્યું છે. ભાજપ આ વખતના મંત્રીમંડળની રચનામાં નો રિપીટ થિયરી અપનાવવાના મૂડમાં છે પણ ભાજપનો મૂડ વિવાદનું મૂળ બની ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવી સીધા મંત્રી પદે બેઠેલા કુંવરજી બાવળિયાનું મંત્રી પદ પર મંડરાતો ખતરો જોઈ કોળી સમાજના બાવળિયા સમર્થકો ભાજપના નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. કુંવરજી બાવળિયાનું મંત્રી પદ જવાની શક્યતાને લઈ ભત્રીજા અજય બાવળીયાએ ભાજપ સામે વિરોધનો મોરચો માંડી દીધો છે. જસદણ-વીંછીયા ભાજપ સોશિયલ મીડિયા ગ્રૂપમાં વિરોધી સૂર ઉઠયા છે. કોળી સમાજના કેબિનેટ મંત્રી કપાશે તો ભાજપને પરિણામ ભોગવવા ચિમકી પણ ભાજપના બાવળિયા સમર્થક કાર્યકરો ઉચ્ચારી રહ્યા છે.
PM મોદીને પત્ર લખી કેબિનેટમાં સ્થાન આપવા માંગ
બાવળિયાનું મંત્રી પદ ખતરામાં આવતાની સાથે જ કોળી સમાજમાં મેદાને આવી ગયું છે. અખિલ ભારતીય કોળી સમાજ કુંવરજીના સમર્થનમાં આવ્યો છે. અને PM મોદીને પત્ર લખીને કુંવરજી બાવળીયા સરકારમાં સારું સ્થાન આપવા માંગ કરી છે. કેબિનેટમાં મહત્વનું સ્થાન આપવા સમાજના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રી મોદી પત્ર લખી માંગ કરવામાં આવી છે. જણાવી દઈએ કે કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓના શ્વાસ અધ્ધર
ભાજપના સિનિયર મંત્રીઓ સાથે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતાઓ પણ નો રિપીટ થીયરી અપનાવતા નારાજ ચાલી રહ્યા હોવાના સંકેત છે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટાભાગના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. ત્યારે પોતાનું મંત્રી પદ ખસકતું જોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને મંત્રી પદે બેઠેલા નેતાઓએ પણ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે, સર્વસ્વ મુકી ભાજપમાં આવ્યા છતા અન્યાયની લાગણી પેદા થતાં મંત્રીઓને ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે. એક તો પહેલાથી જ ભાજપના કાર્યકરો પેરાસુટ નેતાઓને લઈને નારાજ છે તેમાંય ભાજપ મોવડીમંડળના નો રિપીટનો ખેલથી મોટી દ્વિધામાં મુકાયા છે.
પત્તું કપાવવાના ડરથી કમિટમેન્ટ યાદ આવી ગયું?
કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી પદ ફિક્સ કરી બેઠા છે, જેમાં કુંવરજી બાવાળીયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો મંત્રી છે. જે કમિટમેન્ટ સાથે ભાજપમાં આવ્યા હોવાની ચર્ચા હતી. ત્યારે નો રિપીટ થિયરી લાગે તો આ તમામ મંત્રીઓ ઘર ભેગા થઈ જઇ જવાના એંધાણ છે ત્યારે કમિટમેન્ટ સાથે આવ્યા હતા તો આવું કેમ? તેવો સુર ઉઠાવી મંત્રીઓ વિરોધ કરી રહ્યા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.કોંગ્રેસમાંથી ભાજપ આવી મંત્રી બનેલા નેતાઓના હાલ તો શ્વાસ અધ્ધર થઇ ગયા હોય તેવુ લાગી રહ્યું છે, પત્તું કપાવવાના ડરથી કમિટમેન્ટ યાદ આવી ગયું છે.