ઉત્તરાયણના દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થયો હોય તેમ 108ને 2 હજાર 916 ઇમરજન્સી કોલ મળ્યા, રાજ્યમાં બે બાળકીઓ સહિત ચાર લોકોના મૃત્યુ
ઉત્તરાયણ પર સતત વાગતી રહી 108ની સાયરન
ઉત્તરાયણ પર 108ને 2 હજાર 916 ઇમરજન્સી કોલ મળ્યા
રાજ્યમાં બે બાળકીઓ સહિત ચાર લોકોના મૃત્યુ
રાજકોટ અને મહેસાણામાં 2 બાળકોના મૃત્યુ
વડોદરા અને સુરતમાં 2 યુવકોના મૃત્યુ
ઉત્તરાયણના દિવસે ગુજરાતભરમાં તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવ્યા બાદ આજે વાસી ઉત્તરાયણના દિવસે પણ વહેલી સવારથી લોકો ધાબા ઉપર ચડી ગયા છે. આ તરફ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અમુક લાલચુ તત્વો રૂપિયા રડી લેવાની લાલચે તેનું વેચાણ કર્યું હતું. જેને પગલે રાજ્યમાં ગળા કપાવાની ઘટનાઓ પણ સામે આવી હતી. ઉત્તરાયણમાં 108 ઇમરજન્સી લાઈન સતત કાર્યરત હતી. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થયો હોય તેમ 108ને 2 હજાર 916 ઇમરજન્સી કોલ મળ્યા હતા.
ઉત્તરાયણમાં 108 ઇમરજન્સી લાઈન સતત કાર્યરત
રાજ્યમાં ઉત્તરાયણના દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થયો હતો. નોંધનીય છે કે, ઉત્તરાયણ પર 108ને 2 હજાર 916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જોકે વર્ષ 2022ની સરખામણીમાં આ વર્ષે 278 કેસ વધુ નોંધાયા છે. નોંધનીય છે કે, મોટી સંખ્યામાં લોકો દોરી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં ઉત્તરાયણ બની જીવલેણ
ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે રાજકોટ અને મહેસાણામાં 2 બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે વડોદરામાં પણ એક યુવકનું પતંગ દોરીના કારણે મૃત્યુ થયું છે. વિગતો મુજબ રાજકોટમાં પતંગ દોરીથી 7 વર્ષના બાળકનું મૃત્યુ તો વિસનગરમાં કડા દરવાજા નજીકની ચાઈનીઝ દોરીથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. વડોદરા પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે. જેમાં દશરથ બ્રિજ પર પતંગની દોરીથી યુવકનું મોત થયાનું સામે આવ્યું છે.
કામરેજમાં પતંગની દોરીના કારણે યુવકનું મોત
સુરતમાં પતંગની દોરીએ વઘુ એક યુવકનો ભોગ લીધો છે. કામરેજમાં પતંગની દોરીના કારણે યુવકનું મોત થયું છે. બાઈક પર ફરવા નીકળ્યો ત્યારે યુવકના ગળામાં દોરી ફસાતા મોત થયું છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, છેલ્લા 14 દિવસમાં કામરેજમાં દોરીના કારણે 2 લોકોના મોત થયા છે.
પોરબંદરમાં ઉત્તરાયણની મોડી સાંજે આગ
ઉત્તરાયણની મોડી સાંજે પોરબંદરમાં 2 જગ્યા પર આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં તુકક્લ પડવાના કારણે આગ લાગી હોવાનું ખૂલ્યું છે. પંચાયત ચોકી અને સુરજ પેલેસ નજીક આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કોઈ જાનહાનિ નહીં સર્જાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.