એક ન્યુઝ ચેનલ સાથેનાં ઇન્ટરવ્યુમાં ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, 'કાશ્મીરી પંડિતોના જવા પાછળ લોકો કહેશે કે ફારુક જવાબદાર છે, તો મને જ્યાં ઇચ્છો ત્યાં ફાંસી પર લટકાવી દો.'
'The kashmir files' દિલ તોડવાનું કામ કરી રહી છે : ફારૂક અબ્દુલ્લા
'1990માં કેન્દ્ર સરકારનાં કારણે પંડિતોએ સ્થળાંતર કર્યું : ફારૂક અબ્દુલ્લા
'90માં જે થયું તે એક ષડયંત્ર હતું' : ફારૂક અબ્દુલ્લા
'The Kashmir Files' ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે જમ્મુ-કશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, કશ્મીરમાં 1990માં કશ્મીરમાં જે પણ થયું તે એક ષડયંત્ર હતું અને કાશ્મીરી પંડિતોને ષડયંત્ર અંતર્ગત ત્યાંથી ભગાડવામાં આવ્યાં હતાં. તેઓએ 'The Kashmir Files' પર વાત કરીને તેને પ્રોપેગેંડા ફિલ્મ ગણાવ્યું.
એક ન્યુઝ ચેનલ સાથેનાં ઇન્ટરવ્યુમાં ફારૂક અબ્દુલ્લાએ વાતચીત કરતા જણાવ્યું કે, તે સમય ખૂબ ખરાબ હતો. તે સમયે કાશ્મીરી પંડિતો પર જે મુશ્કેલીઓ આવી તેની માટે મારું દિલ હજુ સુધી રોવે છે. કોઇ કાશ્મીરી એવું નથી કે જે તેઓની માટે રોયું ના હોય. સૌ કોઇ ઇચ્છે છે કે, તેઓની વતન વાપસી થાય. ત્યારે જ કશ્મીર પૂરું થયું કહેવાશે.
ફારૂક અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે, 90માં જે થયું તે એક ષડયંત્ર હતું, આ ષડયંત્રને કોણે કર્યું? તેની તપાસ માટે કમિશન બેસાડવામાં આવે ત્યારે ખ્યાલ આવશે કે, કોણ-કોણ તેમાં સામેલ હતાં.
ઈન્ટરવ્યુમાં રાજ્યના પૂર્વ સીએમએ એમ પણ કહ્યું કે, આ મામલે ફારુક અબ્દુલ્લા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે, પરંતુ હું તેના માટે (કાશ્મીરી પંડિતોને ઘર છોડવા માટે) જવાબદાર નથી. જવાબદાર એ લોકો છે કે જેઓ તે સમયે દિલ્હી પર રાજ કરતા હતાં.
જાણો 'The Kashmir Files' ફિલ્મ પર ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું?
ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ પર બોલતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જો મુદ્દાઓ ઉકેલવા હોય તો દિલને જોડવાની વાત કરવી પડશે, આ ફિલ્મ દિલને જોડતી નથી, તેને તોડી રહી છે. સમગ્ર દેશમાં આ ફિલ્મથી આગ લાગી છે. જો આ આગ નહીં ઓલવાય તો આખા દેશને શોલાની જેમ ઉડાડી દેશે.
ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, હું પીએમ મોદીને વિનંતી કરીશ કે તેઓ એવાં કામો ન કરે જેનાથી મુસ્લિમો અને હિંદુઓના સંબંધો વધુ બગડે. જો આમ થશે તો દેશનો ચહેરો તેવો થઈ જશે કે જેવો હિટલરના સમયમાં જર્મનીમાં હતો.
ફારુક અબ્દુલ્લાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતાં. તેમણે કહ્યું કે, તે સમયે મુખિયા જગમોહન (જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ) હતાં. તેઓ હવે નથી રહ્યાં પરંતુ તેણે કાશ્મીરી પંડિતોને બહાર નીકાળ્યાં. તેઓનાં ઘર પર તેઓએ ગાડીઓ મોકલી, પોલીસવાળાને આ લોકોને ગાડીઓમાં બેસાડવાનું તેઓએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, લગભગ 800 પરિવારો (કાશ્મીરી પંડિતોના) હજુ પણ કાશ્મીરમાં શાંતિથી જીવી રહ્યાં છે. કોઈએ તેમને સ્પર્શ નથી કર્યો, કોઈએ તેઓને માર્યા પણ નથી.
...તો જ્યાં ઇચ્છો ત્યાં ફાંસી આપી દો - ફારૂક અબ્દુલ્લા
ફારુકે કહ્યું કે, એ.એસ દુલ્લત (તત્કાલીન RAW ચીફ), આરિફ મોહમ્મદ ખાન, મોહસર રઝા (તે સમયના મુખ્ય સચિવ) ને પૂછવું જોઈએ કે, કાશ્મીરી પંડિતોના જવા પાછળ કોણ જવાબદાર છે, જો આ લોકો કહેશે કે ફારુક જવાબદાર છે, તો મને જ્યાં ઇચ્છો ત્યાં ફાંસી પર લટકાવી દો.
પરંતુ પહેલાં એક કમિશન બનવું જોઇએ કે જે જોશે કે કોણ સાચું છે અને કોણ ખોટું. તે જોશે કે કુપવાડામાં કોણે અમારી બહેનો પર બળાત્કાર કર્યો. કોણે મસ્જિદમાંથી બહાર આવી રહેલા લોકો પર ગોળીબાર કર્યો?
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે દિલને જોડવાની કોશિશ કરવી પડશે, તે સૈન્ય સાથે થઈ શકે નહીં. તેઓએ વધુમાં કહ્યું કે, જો કોઈ હિન્દુ મુખ્યમંત્રી ઈમાનદારીથી જમ્મુ-કાશ્મીર આવે છે, પછી ભલે તે કાશ્મીરી હોય કે ન હોય પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવશે. પરંતુ જો તે અપ્રમાણિક રીતે આવશે તો તેને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે.