પાલનપુરના મોટા ગામે વરઘોડામાં માથે સાફો બાંધવા બાબતે સુરજ શેખલિયા નામના વ્યકિતએ બે દિવસ પહેલા પોલીસ રક્ષણ માંગ્યું હતું
વરઘોડા ઉપર પથ્થરમારો
પાલનપુરના મોટા ગામની ઘટના
માથે સાફો બાંધવા બાબતે થઈ બબાલ
હજુ પણ ગુજરાતમાં જાતિવાદ અને ઉચનીચનું દૂષણ દેખાડો થઈ રહ્યું છે. હજુ પણ ગુજરાતમાં કેટલાક ગામોમાં અનુસુચિત જાતિ પર અત્યારચારની ઘટનાઓ સામે આવી રહી છે, વાત છે પાલનપુર-ડીસા હાઈવે પર આવેલા મોટાગામની. અહી ગામના કેટલાક વિધ્ન સંતોષી માણસોએ વરઘોડામાં સાફો બાંધવાની મનાઈ ફરમાવી રૌફ ઝાડી પોતાની હલકી માનસિકતા છતી કરી હતી.
એક દિવસ પહેલા પ્રોટેક્શન માંગ્યું હતું
મોટાગામમાં શેખલિયા પરિવારમાં અતુલ નામના યુવકના લગ્ન હતા. પણ લગ્નને એક દિવસ અગાઉ આર્મીમાં ફરજ બજાવતા આ યુવકે પોતાના વરઘોડામાં સાફો પહેરવાની ઈચ્છા દર્શાવી હતી. જેનો ગામમાં વિરોધ થઇ રહ્યો હતો. જેથી એક દિવસ પહેલા જ અતુલ કુમારે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. અતુલના મોટાભાઈ સુરેશભાઈએ ભાઈના લગ્ન ધામધૂમથી કરવા ઈચ્છતા હતા પણ વિરોધને પગલે પરિવાર સાથે ચર્ચા બાદ ઘોડી લાવવાનું બંધ રાખ્યું હતું. પણ સાફાનો પ્રશ્ન ઊભોને ઊભો જ રહ્યો હતો.
વરઘોડા પર પોલીસની હાજરીમાં પથ્થરમારો
પણ આજે જ્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામમાં વાજતે ગાજેતે ડીજે સાથે વરઘોડો નીકળ્યો ત્યારે મોટા ગામના કેટલાક યુવકોએ પથ્થરમારો કરી દીધો હતો. જેમાં 1 વ્યક્તિને સામાન્ય ઇજાઓ થઈ હતી. સત્વરે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકો દેવાતા જાન પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં પહોંચી હતી અને સમાજના લોકો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ થઈ, બંને પક્ષ સમાધાન માટે આગળ આવ્યા
પોલીસે શાંતિ ભંગ ન થાય તે માટે 151 કલમ હેઠળ 2 લોકોની અટકાયત કરી હતી. જો કે મોટા ગામના બંને પક્ષો દ્વારા હાલ સમાઘાનની તજવીજ હાથ ધરાઇ છે. હાલ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવી દેવાયુ છે. પણ એક સવાલ હંમેશા ડંખ્યા કરે છે કે શું કૉઈ જાતિને ટાર્ગેટ કરી બંધારણમાં આપેલ હક્કોની ઉપરવટ જઈ પોતાનો કક્કો સાચો રાખવોએ યુવાનોને કઈ તરફ લઈ જશે? અને ક્યારે ઉચનીચનો ભેદભાવ દૂર કરી બધા એકમેજ છે તેનો દાખલો બેસાડવામાં આવશે?
પોલીસનું શું કહેવું છે?
સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે બપોર બાદ સ્થિતિ કાબૂમાં આવતા અનુસૂચિત સમાજના લોકોની લાગણી દુભાય પ્રકારના સ્ટેટસ અને પથ્થરમારા મુદ્દે હાલ 2 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
ક્યાં સુધી અનુસુચિત જાતિના પરિવારો પર હુમલો થશે ?
અનુસુચિત જાતિના પરિવાર અન્ય પરિવારની જેમ લગ્ન ન કરી શકે ?
આ પ્રકારના વર્તનથી હિન્દુ પરિવારમાં એકતા કેટલી ટકશે ?
હિન્દુમાં ફૂટફાટ પાડવાનું ક્યારે બંધ થશે ?
અનુસુચિત જાતિના પરિવારોને ન્યાય મળશે ?
અનુસુચિત જાતિના પરિવારો પર હુમલા ક્યારે અટકશે?
ક્યાં સુધી અનુસુચિત જાતિના પરિવારોએ આ રીતે ડરતા રહેવાનું ?