અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ અને મોત મામલે પોલીસની ટીમો હાલ હત્યા કે આત્મહત્યા તેની તપાસમાં લાગી, ઇજાગ્રસ્ત પતિના ગોળ ગોળ નિવેદનની પણ પોલીસે શરૂ કરી ઉલટ તપાસ
અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ અને મોત મામલો
પોલીસે ઘટનામાં હાલ અકસ્માતે મોતની કરી નોંધ
હત્યા અને આત્મહત્યા વચ્ચેનો ભેદ ઉકેલવા પોલીસની તપાસ
પતિના ગોળ-ગોળ નિવેદનની પોલીસે શરૂ કરી ઉલટ તપાસ
ઘટના સ્થળ અને ઇજાના નિશાનના આધારે વૈજ્ઞાનિક ઢબે શરૂ કરી તપાસ
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ અને મોત મામલે હવે પોલીસે ઊલટ તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે ઘટનામાં હાલ તો અકસ્માતે મોતની નોંધ કરી છે. મહત્વનું છે કે, પોલીસની ટીમો હાલ હત્યા કે આત્મહત્યા તેની તપાસમાં લાગી છે. આ સાથે ઇજાગ્રસ્ત પતિના ગોળ ગોળ નિવેદનની પણ પોલીસે ઉલટ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આજે સવારે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ પતિએ પત્નીની હત્યા કરીને ફ્લેટમાં આગ ચાંપી હોવાના પણ અહેવાલો મળી રહ્યા હતા. બાદમાં બપોરના સમયે સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પતિએ દાવો કર્યો હતો કે, નાસ્તો બનાવવા મામલે માથાકૂટ થઈ હતી જે બાદ પત્નીએ છરીથી હુમલો કર્યો હતો. જે બાદમાં પત્નીએ પોતાની જાતે જ ગળુ કાપીને ઘરને આગ ચાંપી હતી.
વૈજ્ઞાનિક ઢબે પોલીસ તપાસ શરૂ
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આગ અને મોત મામલે હવે પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળ અને ઇજાના નિશાનના આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરાઇ છે. જોકે મૃતક અનિતા વઘેલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યા અને આત્મહત્યાને લઈને ખુલાસો થશે.
અમદાવાદના પોશ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન-Vમાં ફ્લેટના બ્લોકના ચોથા માળે અચાનક આગ લાગી હતી. સવારના સમયે V-405માં રેટ અનિલ વઘેલ અને તેમની પત્ની અનિતા વઘેલ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. જોકે આ દરમ્યાન અચાનક ઝઘડો ઉગ્ર બન્યા બાદ બંનેએ એક બીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જોકે બાદમાં ઇજાગ્રસ્ત પતિનું મોટું નિવેદન સામે આવ્યું હતું.
શું કહ્યું ઇજાગ્રસ્ત પતિએ ?
આગ અને હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલ વઘેલની પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અનિલ વઘેલે જણાવ્યું હતું કે, આજે સવારના સમયે નાસ્તો બનાવવા મામલે માથાકૂટ થઈ હતી. આ તરફ મામલો ઉગ્ર બનતા પત્નીએ જ છરીથી હુમલો કર્યો હતો. જે બાદમાં બાદ પત્નીએ જ પોતાની જાતે જ ગળુ કાપીને ઘરને આગ ચાંપી હતી.
શું હતું સ્થાનિકે?
આ ઘટનાને લઈ એક સ્થાનિક સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે, આજે સવારના સમયે આ ઘટનાની જાણ થતાં અમે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્નિના ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બનાવ બન્યો ત્યારે તેમના બંને બાળકો કે એક ધોરણ 6માં ભણતી પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર બંને શાળાએ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.
શું કહ્યું હતું સિક્યુરિટી ગાર્ડે ?
સમગ્ર મામલે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, V બ્લોકમાં ચોથા માળે આગ લાગતા અમે અન્ય ગાર્ડ સાથે તાત્કાલિક દોડી ઉપર ગયા હતા. આમરે ત્યાં પહોંચીને જોયું તો, 405 નંબરમાં રહેતા અનિલ બઘેલ દરવાજો ખોલીને બહાર આવતા હતા અને તેમની પત્ની અંદર હતા. જોકે બંને પતિ-પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં હતા. જે બાદમાં અમે બંનેને નીચે લાવ્યા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડે પણ કહ્યું હતું કે, પતિ-પત્ની બંને ઘરમાં જ ઝઘડ્યા અને પછી આગ લાગી કે લગાડી તે ખબર નથી.
શું કહ્યું હતું ફાયર અધિકારીએ ?
સમગ્ર મામલે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમને આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અમારી ટીમે જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યાં હતા. જોકે આ ઘટનામાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
એલ ડિવિઝન ACP ડી.વી.રાણાએ શું કહ્યું ?
ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન સોસાયટીમાં આગ અને મોત મામલે હવે એલ ડિવિઝન ACP ડી.વી.રાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પતિ અને પત્ની વચ્ચે અણબનાવ કે મોટા ઝઘડા થતા હોવાનું નથી ખુલ્યું. પતિ જાપાનની ટોરે કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. હાલમાં પતિના નિવેદનને લઈને વૈજ્ઞાનિક ટેકનોલોજીના ઢબે તપાસ કરાશે. આ સાથે પત્નીના પેનલ ડોકટરથી પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાનો રહેવાસી છે પરિવાર
ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન સોસાયટીમાં આગ અને મોત કેસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2017થી પત્ની અનિતા અને 2 સંતાન સાથે ઇડન સોસાયટીમાં રહે છે. તેઓ મૂળઉત્તરપ્રદેશના આગ્રાના રહેવાસી છે. જોકે હવે સમગ્ર ઘટના બાદ પતિનું શંકાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. મહત્વનું છે કે, પતિએ પત્નીએ પોતાનું ગળું ખુદ કાપ્યાનુ નિવેદન આપ્યુ છે.