રામ મંદિરનાં નિર્માણ માટે આમતો ફંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે પણ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો જાણવા મળ્યો છે જે જાણીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો.
રાજસ્થાનની મહિલાએ અંતિમ સંસ્કાર પહેલા ઘરેણા શ્રી રામને આપવાની ઇચ્છા વ્યક્ત કરી
પતિએ અંતિમ સંસ્કાર પહેલા ઘરેણા એકત્ર કરીને પ્રચારકનો સંપર્ક સાધ્યો
ઘરેણામાં 15 તોલા સોનુ અને 23 ગ્રામ ચાંદી હતુ
મૃત્યુ પહેલા ઇચ્છા વ્યક્તિ કરી હતી
જોધપુરની રહેવાસી આશાબહેન હાલ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે પણ તેમણે મૃત્યુ પહેલા તેમની એક ઇચ્છા વ્યક્ત કરી હતી કે, મૃત્યુ બાદ તેમનાં બધા ઘરેણા રામ મંદિરનાં નામે કરી દેવામાં આવે. તેમની ઇચ્છા હતી કે તેમનાં અંતિમ સંસ્કાર પહેલા તેમનાં ઘરેણા રામ મંદિરનાં નામે કરી દેવામાં આવે.
ભંડોળ ભેગુ કરનારનો સંપર્ક સાધ્યો
રામ મંદિર હેઠળ જોધપુરમાં સમર્પણ ભંડોળ ભેગુ કરનાર પ્રચારક હેમંતને ફેબ્રુઆરીએ ફોન પર આવ્યો અને કહેવામાં આવ્યું કે હું વિજયસિંહ બોલી રહ્યો છું મારી પત્ની આશા રામ મંદિર માટે તેનાં ઘરેણા દાન કરવા માંગે છે. આજે તે દુનિયા છોડીને ચાલી ગઈ છે. ત્યારબાદ વિજયસિંહનું ગળુ રુંધાઈ ગયુ અને તે કશું બોલી ના શક્યો. પછી રોતા રોતા તે બોલ્યો આપ આવો અને તેનાં અંતિમ સંસ્કાર પહેલા તેનાં ઘરેણા લઈ જાઓ. તેની અંતિમ ઇચ્છા હતી કે તેનાં બધા ઘરેણા ભગવાન શ્રી રામનાં અર્પણ કરવામાં આવે.
ઇચ્છા સાંભળી પ્રચારક સ્તબ્ધ થઈ ગયા
આ સાંભળીને પ્રચારક હેમંત સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું કે, તમે અંતિમ સંસ્કાર કરાવો અમે તેમની ઇચ્છાની પૂર્તી કરીશું. આશાએ 1 ફેબ્રુઆરીએ તેનાં પતિ વિજય અને દીકરા મનોહરને કહ્યું હતું કે તે શ્રી રામ મંદિર માટે તેનાં બધા ઘરેણા દાન કરવા માંગે છે.
ઘરેણા લેવાનો નિયમ નાં હોવાથી ઘરેણા વેચીને પૈસા દાન કર્યા
દીકરા મનોહરે તેની માતાની અંતિમ ઇચ્છા માનતા કહ્યું કે હું જાણકારી લાવીશ કે ઘરેણા કેવી રીતે આપવામાં આવે છે. ત્યારબાદ પરિવારજનોએ સંપર્ક કર્યો તો નિયમો અંતર્ગત ઘરેણા દાનમાં નથી લેવામાં આવતા. જેથી પરિવારજનોએ 15 તોલા સોનુ અને 23 ગ્રામ ચાંદી સોનીને વેચીને 7,08,521 રુપિયા મેળવ્યા અને તે રકમ દાનમાં આપી.