ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર યોજના મુદ્દે હાઈકોર્ટ દ્વારા અરજદારની અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે વીમા યોજનાનો લાભ ખેડૂત ખાતેદારના કોઈ એક સંતાનને જ મળી શકે છે.
વીમા યોજનાનો લાભ ખેડૂત ખાતેદારના કોઈ એક સંતાનને જ મળી શકે
સરકાર મલ્ટીપલ ક્લેમ મંજૂર કરવા બંધાયેલી નથી
ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા વળતર યોજનાને લઈને હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ વીમા યોજનાનો લાભ ખેડૂત ખાતેદારના કોઈ એક સંતાનને જ મળી શકે છે. ત્યારે એક થી વધુ સંતાનોના ક્લેમ હોય તો કોઈ એક જ સંતાનનો ક્લેમ મંજૂર રાખી શકાય છે. ત્યારે ખેડૂત ખાતેદારના કોઈ એક જ સંતાનને અકસ્માત વીમા યોજનાનો લાભ આપવાનો સરકારનો પરિપત્ર છે. જેથી સરકાર મલ્ટીપલ ક્લેમ મંજૂર કરવા બંધાયેલી નથી. જેથી કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી.
ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ /કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના ૨૬ મી જાન્યુઆરી, ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કરેલ છે. આ યોજના ૧૦૦% રાજ્ય સરકાર પુરુસ્કૃત યોજના છે. આ યોજનામાં રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરવામાં આવે છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ / પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય મળી શકે છે.
યોજનાનો લાભ કોને મળવાપાત્ર
વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરનાર બધા જ ખાતેદાર ખેડૂતો, ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન (પુત્ર/પુત્રી) તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ કે કાયમી અપગંતાના કિસ્સામાં તેઓની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોય તેમને યોજનામાં લાભ મળવાપાત્ર છે.
મુખ્ય શરતો
મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત (વ્યક્તિગત કે સંયુક્ત નામે જમીન ધારણ કરેલી હોય) અથવા ખાતેદાર ખેડૂત સંતાન (પુત્ર/પુત્રી) અથવા ખાતેદાર ખેડૂતના પતિ / પત્ની હોવા જોઇએ.
મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય.
આપઘાત કે કુદરતી મૃત્યુનો આ યોજનામાં સમાવેશ થતો નથી.
મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોવી જોઇએ.
૧૫૦ દિવસ માં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીમાં અરજી કરેલ હોવી જોઇએ.
સુધારેલ સહાય ધોરણ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા:૧૩/૧૧/૨૦૧૮ ના સુધારા ઠરાવથી લાભાર્થીને નીચે મુજબની વીમા સહાય મળવાપાત્ર થાય છે.
અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ
અકસ્માતને કારણે બે આંખ / બે અંગ / હાથ અને પગ / એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦% લેખે રૂ. ૨.૦૦ લાખ
( આંખના કિસ્સામાં ૧૦૦% સંપૂર્ણ દૃષ્ટિ જવી, હાથનાં કિસ્સામાં કાંડાથી ઉપરનો ભાગ તથા પગનાં કિસ્સામાં ઘૂંટણ ઉપરથી તદ્દન કપાયેલ હોય)
અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦% લેખ રૂ. ૧.૦૦ લાખ