ગુજરાતના શહેરોમાં ટૂ-વ્હીલર માટે હેલ્મેટ મરજીયાત કરવાના નિર્ણય અંગે સરકારે હવે પુનઃ સમીક્ષા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જો કે આ સ્થિતિ કંઈ અકસ્માતોના કારણે નથી ઊભી થઈ. હકીકતમાં રૂપાણી સરકારના હેલ્મેટ અંગે ઉદાર વલણના કારણે રોડ સેફ્ટિ કાઉન્સિલે નારાજગી જાહેર કરી છે.
શહેરના રોડ રસ્તા પર હેલમેટ મરજિયાત કર્યા બાદ અનેક નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે. આ તો થયું કે ભાવતું હતું અને વૈધે કીધું. શહેરના રસ્તા પર હેલમેટ મરજિયાત કર્યા બાદ ઘણા લોકો જાણે હેલમેટથી આઝાદી મળી હોય તે રીતે વિહાર કરી રહ્યા હતા ઘણા લોકોએ તો જાણે હેલમેટ માળિયા પર મૂકી દીધા હતા. શહેરનું યુવાધન ખુશ થઈ ગયું હતું. પરંતુ હવે તેમની આ ખુશી વધારે સમય ટકે તેવું લાગતું નથી. કેમકે, ગુજરાત સરકાર કંઈક એવા સંકેત આપી રહી છે કે તમારે ફરીવાર હેલમેટ ધારણ કરવું પડશે.
રાજ્યના સીએમ વિજયભાઈ રૂપાણીની આ વાત સાંભળીને ઘણા સમજૂ નાગરિકો હવે પોતાના હેલ્મેટની વ્યવસ્થામાં લાગી જશે. જો કે ઘણા નાગરિકોને સીએમનો આ સંકેત નહી ગમ્યો હોય. કેમ કે હેલ્મેટથી મુક્તિનો અહેસાસ અનુભવી રહેલા નાગરિકોને ફરી પાછું હેલ્મેટ પહેરવું પડે તેવા સંકેત મળી રહ્યા છે.
કેમ CMને કરવી પડી સ્પષ્ટતા?
સરકારના ઉદારવલણ સામે રોડ એન્ડ સેફ્ટિ કમિટીએ નારાજગી જાહેર કરી હતી
હેલ્મેટ મરજિયાત કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે આ મામલે જવાબ માગ્યો હતો
રોડ સેફ્ટી કમિટીએ કાયદામાં ફેરફાર બદલ લેખિતમાં જવાબ માગ્યો છે
ફરજિયાત હેલ્મેટના કાયદાનું પાલન કરાવવાનો પત્રમાં ઉલ્લેખ છે
દર ત્રણ મહિને કાયદાનો રિવ્યૂ કરાવવાની પણ સૂચના અપાઈ છે
કઈ તારીખ સુધી મરજિયાત રાખવું એ જવાબ પણ માગવામાં આવ્યો છે
શહેરમાં હેલ્મેટ મરજિયાતના નિર્ણયના ચોતરફથી વખાણ અને નિંદા બંને થઈ રહ્યાં હતા પરંતુ, બધાનો એકમત તો હતો જ કે, લોકોની ખુશી માટે પણ લોકોના જીવને જોખમમાં મુકવાનો નિર્ણય યોગ્ય નથી.
હવે સુપ્રીમકોર્ટ અને રોડ અને સેફ્ટિ ઓથોરિટીના આકરા વલણ બાદ હવે રાજ્ય સરકાર ફરીવાર શહેરમાં હેલમેટ ફરજિયાત બનાવશે તેવું લાગી રહ્યું છે. પાલિકાની ચૂંટણી પછી હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ શકે છે. સરકાર દંડની રકમ ઓછી કરીને હેલ્મેટ ફરજિયાત કરી શકે છે જેથી લોકપ્રિયતા પણ જળવાઈ રહે અને કાયદાનું પાલન પણ થઈ શકે.