જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારતને સોંપવાના કેસની સુનાવણી પૂર્ણ ગઈ છે. લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટ આગામી 3 માર્ચના રોજ નિર્ણય કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
લંડનની કોર્ટમાં ચાલતી હતી જયેશ પટેલના કેસની સુનાવણી
આગામી 3 માર્ચના રોજ કોર્ટમાં આવી શકે છે ચુકાદો
જયેશ પટેલ સામે ગુજસીટોક સહિતના નોંધાયા છે ગુના
જામનગરના ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે અને તેને ભારતને સોંપાશે કે કેમ તેનો ચૂકાદો આગામી 3 માર્ચ 2023ના રોજ આવવાની સંભાવના છે.
ત્રણ ડઝનથી પણ વધારે નોંધાયેલા છે ગુના
ભૂમાફિયા જયેશ પટેલ સામે જમીન કૌભાંડ, ખંડણી, હત્યા સહિતના ત્રણ ડઝનથી પણ વધારે ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તે ગુજસીટોક પ્રકરણમાં મુખ્ય આરોપી છે. થોડા વર્ષો અગાઉ દેશ છોડીને વિદેશ ભાગી ગયેલા મૂળ જામનગરના જયેશ પટેલ ઉર્ફે જયસુખ મુળજીભાઈ રાણપરીયાની માર્ચ 2021માં લંડન ખાતે ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.
લંડનની કોર્ટમાં ચાલે છે કેસ
જે બાદ ભારત સરકાર દ્વારા આરોપીનો પ્રત્યાપણથી કબ્જો લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ અંગેનો કેસ લંડનની કોર્ટમાં ચાલે છે. તાજેતરમાં થયેલી સુનાવણીમાં લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં જયેશ પટેલને વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રખાયો હતો. આ દરમિયાન ભારત સરકાર વતી કલેર ડોબિન નામક ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતાં.
3 માર્ચે કોર્ટ આપી શકે છે ચુકાદો
સુનાવણી દરમિયાન ધારાશાસ્ત્રી દ્વારા જયેશ પટેલની માનસિક સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લંડન કોર્ટમાં જામનગરના જમીન માફીયા જયેશ પટેલને ભારતને સોંપવાના કેસની સુનાવણી પૂર્ણ થઈ છે. જયેશ પટેલને ભારતને સોંપણી કરવાના મામલે લંડનની કોર્ટમાં આગામી માર્ચ મહિનામાં નિર્ણય કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.