કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ સવાલ પૂછતા કહ્યું, હું જ્યારે પણ હોસ્પિટલમાં ગાર્ડ અને બાઉન્સરને જોઉ છુ તો હંમેશા એક સવાલ મારા મગજમાં ઉભો થાય છે કે આખરે હોસ્પિટલમાં બાઉન્સર અને ગાર્ડની જરૂર કેમ પડે છે? તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં રહેલા ગાર્ડ અને બાઉન્સરને જોઈને મને ખૂબ દુ:ખ થાય છે.
એઈમ્સના 66મા સ્થાપના દિવસે માંડવિયાએ તબીબો સાથે કરી વાતચીત
હોસ્પિટલમાં રહેલા ગાર્ડ અને બાઉન્સરને જોઈને ખૂબ દુ:ખ થાય છે
આપણે હોસ્પિટલમાં થોડા ફેરફાર કરવાની તાતી જરૂર
મનસુખ માંડવિયાએ હોસ્પિટલમાં ફેરફારના આપ્યા સંકેત
એઈમ્સના 66મા સ્થાપના દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આગામી થોડા દિવસમાં ફેરફારનો સંકેત આપતા કહ્યું, જ્યારે કોઈ દર્દી હોસ્પિટલમાંથી સારવાર લઇને જાય છે ત્યારે દર્દી સંતુષ્ટ થયો છે કે નહીં? આ જાણવુ ખૂબ જરૂરી છે. તેમણે દેશના અન્ય રાજ્યોમાં બની રહેલી એઈમ્સની વચ્ચે ફેકલ્ટીઓના રોટેશનની પણ વાત કહી. એઈમ્સમાં પ્રથમ વખત તબીબો અને દરેક સ્ટાફને સંબોધી રહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે દિલ્હી એઈમ્સમાં અત્યાર સુધી ત્રણ વખત આવી ગયો છું. જ્યારે પણ હું હોસ્પિટલ આવુ છુ ત્યારે ગાર્ડ અને બાઉન્સરને જોઉ છુ તો ખૂબ દુ:ખ થાય છે. મને વિચાર આવે છે કે તેની જરૂર કેમ પડે છે. દીવા જેવી વાત છે કે દર્દીઓને ખૂબ ગુસ્સો આવે છે અને તેને અટકાવવા માટે ગાર્ડને રાખવા પડે છે. તેથી આપણે એ સમજવાની જરૂર છે કે હોસ્પિટલની સુવિધામાં કોઈ જગ્યાએ અછત રહી જાય છે. જેના કારણે હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને ગુસ્સો આવે છે.
ડોકટર દર્દીને ભગવાન માને તો લાઈન ઓછી થઇ જશે: માંડવિયા
આપણે હોસ્પિટલની અંદર થોડો ફેરફાર કરવાની તાતી જરૂર છે કે દેશનો દરેક નાગરિક અહીંથી ખુશ થઇને જાય. જ્યાં સુધી દર્દી ખુશ થશે નહીં ત્યાં સુધી તમે કરેલી સારવારની સફળતા સાર્થક થશે નહીં. હોસ્પિટલની બહાર દર્દીઓની લાંબી લાઈનોને ખત્મ કરવાની જરૂર છે અને આ કામ ફક્ત એક તબીબ જ કરી શકે છે. જો દરેક ડોકટર એવુ વિચારવા લાગે કે મારો દર્દી મારો ભગવાન છે, તો લાઈનો ઓછી થઇ જશે. દર્દીને તપાસવા માટે બીજી તારીખ આપવાને બદલે ડોકટર એ દર્દીને એ જ સમયે તપાસી લે તો દર્દીઓની લાઈનમાં આપોઆપ ઘટાડો થશે.