હરિધામ સોખડાનો વિવાદ હવે સુરત સુધી પહોંચ્યો છે. સુરતમાં પ્રબોધ સ્વામી જૂથના હરિભક્ત પર ઉધના દરવાજા પાસે હુમલો કર્યા હોવાની વાત સામે આવી છે.
વડોદરાના સોખડા મંદિરમાં વિવાદ મામલે
પ્રબોધ સ્વામી ગ્રુપના હરિભક્ત પર સુરતમાં હુમલો
ગતરોજ સુરતના ઉધના દરવાજા પાસે થયો હુમલો
વડોદરા સોખડા મંદિરમાં વિવાદ સુરત સુધી પહોચ્યો.
સોખડા ગામ સ્થિત યોગી ડિવાઈન સોસાયટી સંચાલિત હરિધામ મંદિરના ગાદીપતિનો વિવાદમાં દિન પ્રતિદિન વધતો જ જાય છે. બીજી તરફ હવે આ વિવાદે હિંસક રૂપ ધારણ કર્યું છે. મહત્વનું છે કે, ગતરોજ બપોરે 3.30 કલાકે સુરતના ઉધના દરવાજા પાસે પ્રબોધ સ્વામીના ગૃપના હરિભક્ત પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોની મદદથી ઘાયલ હરિભક્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
કઈ રીતે શરૂ થયો વિવાદ?
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેવા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ પાંચ સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ, 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે બે સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી)ના સમર્થકોએ પોતપોતાના ગુરુને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હોવાનું કહેવાય છે. આ વિવાદ અત્યાર સુધી એટલી હદે વકર્યો છે કે હવે 150 સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરુની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો બે જૂથમાં વહેંચાઈ ગયા છે.