શહેરમાં વ્યાજખોરોનો આતંક દિવસ ને દિવસે વધી રહ્યો છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પાસેથી વ્યાજખોરો ધારે તેવા ઊંચા દરે વ્યાજ વસૂલ કરે છે અને જો સમયસર વ્યાજની ભરપાઇ કરી ના શકે તો તેમની સાથે મારામારી અને દાદાગીરી પણ કરતા હોય છે.
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક વધ્યો
દીકરીના લગ્ન માટે લીધેલા પૈસા પિતાને પડ્યા મોંધા
સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, લોકોએ રૂપિયા વ્યાજની રકમ સાથે ચૂકવી દીધા હોવા છતાંય વ્યાજખોરો તેમની પાસેથી રૂપિયા પડાવવા માટે તેમને ધાકધમકી પણ આપતા હોય છે. આવો જ એક કિસ્સો સોલા વિસ્તારમાં બન્યો છે.
ઘાટલોડિયાના ચાણકયપુરીના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ
ઘાટલોડિયાના ચાણકયપુરીના રામેશ્વરપાર્કમાં રહેતા કાળુભા ઝાલાએ ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર કાળુભા ભાડાની ગાડી ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ ર૦૧૮માં કાળુભાના દીકરાનાં લગ્ન હોવાથી તેમને પૈસાની જરૂર ઊભી થઇ હતી, જેથી ત્યાં રહેતા અરવિંદ પટેલ પાસેથી પ ટકા વ્યાજે ૭પ હજાર લીધા હતા.
કાળુભાએ સિક્યોરિટી પેટે ચેક પણ આપ્યા
કાળુભાએ સિક્યોરિટી પેટે ચેક પણ આપ્યા હતા. ત્યારબાદ પ્રવીણ દેસાઈ અને તેના પિતા શંકર દેસાઇ નામની વ્યક્તિ પાસેથી દસ-દસ હજાર એમ ર૦ હજાર લીધા હતા. કાળુભા એક-બે વર્ષથી વ્યાજે લીધેલા પૈસાનું વ્યાજ પણ ચૂકવતા હતા.
વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરોએ શરૂ કર્યો ત્રાસ
પરંતુ કોરોનાના કારણે લોકડાઉન આવતાં છેલ્લા પાંચેક માસથી કાળુભાએ વ્યાજ ન ચૂકવતાં આ તમામ લોકોએ તેમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેથી કંટાળી કાળુભા પરિવારને લઈ ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા.
કાળુભા સાથે મારામારી કરી ધમકી
તા.૧૪મીએ કાળુભાની વર્ધી અમદાવાદ લાગતાં તેઓ ગાડી લઈને આવ્યા હતા ત્યારે ત્રણ શખ્સો કાળુભા પાસે આવ્યા હતા અને તેમણે કહ્યું કે રબારીના પૈસા લેવામાં મજા નહિ આવે. તેઓ આમ કહી કાળુભા સાથે મારામારી કરી ધમકી આપી જતા રહ્યા હતા. કાળુભાએ આ અંગે પોલીસને જાણ કર્યા બાદ સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.