પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનનો રિપોર્ટ આવ્યો સામે, વગ ધરાવનારા લોકોની સરકારમાં ગોઠવણ હોવાથી પકડાતા ન હોવાનો અને પેપરલીક સામે કાયદો લાવવાનો રિપોર્ટમાં ઉલ્લેખ.
ગુજરાત સ્ટેટ લૉ કમિશનનો રિપોર્ટ આવ્યો સામે
કમિશને 1 જુલાઈના રોજ સરકારને સોંપ્યો હતો રિપોર્ટ
પેપરલીક સામે કાયદો લાવવાનો રિપોર્ટમાં ઉલ્લેખ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર આકરા પ્રહાર
રાજ્યમાં પેપર ફૂટવાએ હવે કોઈ નવી વાત નથી રહી. સતત પેપર ફૂટતા ગુજરાત સ્ટેટ લૉ કમિશને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનનો રિપોર્ટ સામે આવતા સરકારની નીતિ સામે અનેક સવાલો ઉભા થયા છે.
ગુજરાત સ્ટેટ લૉ કમિશને સબમિટ કર્યો હતો રિપોર્ટ
ગુજરાત સ્ટેટ લૉ કમિશને 1 જુલાઈ 2022ના રોજ સરકારને એક રિપોર્ટ સબમિટ કર્યો હતો. રિપોર્ટમાં પેપરલીક અંગે સ્પેશિયલ કાયદો બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. એમબી શાહના વડપણ હેઠળના લૉ કમિશનનો આ રિપોર્ટ તૈયાર થયો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, પેપર લિક અંગે સ્પેશિયલ કાયદો બનાવવામાં આવે.
લાખો રૂપિયામાં પેપરના વેપાર થયાનો રિપોર્ટમાં ઉલ્લેખ
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, વગ ધરાવનાર લોકોની સરકારમાં ગોઠવણ હોવાથી પકડાતા નથી. લાખો રૂપિયામાં પેપર ના વેપાર થયાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. વધુમાં લખાયું છે કે, પેપર લીકની ઘટના સામે આવે ત્યારે સરકાર પર પ્રશ્નો ઉભા થાય છે. ત્યારે પેપર ફોડ સામે કડક પગલાં ભરવા જોઈએ.
કડક કાયદાની જરૂર
1 જુલાઈ 2022ના રોજ રિપોર્ટમાં ભલામણ સૂચન હતું કે ગુજરાતમાં પેપરલીક અંગે કડક કાયદાની જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે સરકારે પગલાં ભરવા જોઈએ. જોકે, આ રિપોર્ટ બાદ એક વિધાનસભાનું સત્ર બોલાવાયું હતું, જેમાં પક્ષ કે વિપક્ષે આ મામલે કોઈ કાર્યવાહી ન કરતા સિલસિલો યથાવત રહ્યો.
મનીષ દોશીના આકરા પ્રહાર
રિપોર્ટ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, સરકાર વિધાનસભા સત્રમાં પેપરલીક અંગે એક દિવસ ચર્ચા કરે અને લૉ કમિશનના અહેવાલ અંગે સરકાર ગંભીરતા દાખવે. સરકાર ઓર્ગેનાઇઝ ક્રાઈમ કરનાર સામે ગુજસીકોક કાયદો લાગુ કરે. સરકાર ફેસ સેવિંગ કરવા પણ પેપરલીક અંગે કાયદો લાવે. સરકારની ઈચ્છા શક્તિ હોત તો રિપોર્ટને જાહેર કરાયો હોત. સપ્ટેમ્બરમાં મળેલ સત્રમાં સરકાર ઈચ્છેત તો કાયદો બની શક્યો હોત.
રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા કરાઈ હતી રદ
અત્રે ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ રાખવામાં આવી છે. જે બાદ રાજ્યભરમાં પરીક્ષાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વારંવાર બનતી આ ઘટનાઓના કારણે સવાલ એ થાય છે કે ગુજરાતમાં ક્યાં સુધી આ પ્રકારે પેપર ફૂટતા રહેશે અને વિદ્યાર્થીઓ રઝળી પડશે. સરકાર વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં ફેલ કેમ થાય છે. સવાલ એ પણ થાય છે કે શું પેપર લીકમાં કોઈ મોટા અધિકારીઓની પણ મિલીભગત છે?