ચાઈનીઝ દોરી મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે અમને તમારા કામ પર શંકા નથી, કામ કરવાની રીત પર વાત કરી રહ્યાં છીએ. જાગૃત્તિ માટે પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની મદદ લો તથા રિક્ષાઓ પર પોસ્ટર લગાવો.
ચાઈનીઝ દોરી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી
સુનાવણી દરમિયાન હાઈકોર્ટની સરકારને ટકોર
જાગૃત્તિ માટે પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની મદદ લોઃ HC
શાળા-કૉલેજોમાં જાગૃતતા માટે બેઠક કરોઃ હાઈકોર્ટ
ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રતિબંધ હોવા છતાં અનેક શહેરોમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને અનેક શહેરોમાં અકસ્માતની ઘટના પણ સામે આવી છે. આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં કહ્યું હતું કે, ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી હતી.
સરકારને HCની ટકોર
ચાઈનીઝ દોરી મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા જણાવ્યું કે, અમને તમારા કામ પર શંકા નથી, કામ કરવાની રીત પર વાત કરી રહ્યાં છીએ. તમે જાગૃત્તિ માટે પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક્સ મીડિયાની મદદ લો. પ્રાઈમ ટાઈમ બુલેટિનમાં 1 મિનિટ જાગૃતતા સંદેશ ચલાવી શકાય છે. શહેરની 56 LED પર દર કલાકે એક વખત જાગૃતતા સંદેશ ચલાવી શકાય છે.
'ચાઈનીઝ દોરી મામલે હેલ્પલાઈન શરૂ કરો'
હાઈકોર્ટે સરકારને જણાવ્યું કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે રિક્ષાઓ પર પોસ્ટર/સ્પીકર લગાવો. શાળા-કૉલેજોમાં જાગૃતતા માટે બેઠક કરો. આ માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ શાળા-કોલેજોમાં જઈને બેઠક યોજી શકે છે. આ ઉપરાંત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ચાઈનીઝ દોરી અંગે લોકો માહિતી આપી શકે તે માટે હેલ્પલાઈન શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
13 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી
જેના પર સરકારી વકીલે સહમતિ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'અમે સોમવાર સુધીમાં હેલ્પલાઈન નંબર જાહેર કરીશું.' આ મામલે વધુ સુનાવણી હવે 13 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
ગત રોજ પણ હાથ ધરાઈ હતી સુનાવણી
નોંધનીય છે કે, ગઈકાલે ચાઈનીઝ દોરી અને કાચવાળી દોરી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર આપી હતી. સરકારે જે સોંગદનામું રજૂ કર્યુ હતું તેમાં કયા પગલા ભર્યા તેની વિગત ન હોવાથી હાઈરોર્ટે રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી અને ગૃહ વિભાગને નવેસરથી સોંગદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે અપનાવ્યું હતું કડક વલણ
આ મામલે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં કહ્યું હતું કે ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. વધુમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે HCએ માહિતી માંગી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને DGPએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે.