4 જિલ્લાના 23 તાલુકા માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ધનતેરસના દિવસથી એટલે કે આજથી ખેડૂતોને રૂપિયા ચૂકવવાનું શરૂ કરાયું છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલે VTV સમક્ષ કર્યો ખુલાસો
અતિવૃષ્ટીને કારણે પાક નુકસાની માટે સહાય આપવાનું શરૂ
7 લાખ રૂપિયાની સહાય ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી
અતિવૃષ્ટીને કારણે પાક નુકસાની માટે સહાય આપવાનું ધનતેરસના દિવસથી એટલે કે આજથી શરૂકરવામાં આવ્યું છે. 4 જિલ્લાના 23 તાલુકા માટે સરકારે પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ 1 લાખ 20 હજાર ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે ત્યારે રાજ્ય સરકારે પ્રથમ દિવસે ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 7 લાખ રૂપિયા સહાય પેટે નાખી દીધા છે.ત્યારે દિવાળીના તહેવારમાં ખાતામાં પૈસા જમા થતાં ખેડૂતને થોડો ઘણો હાશકારો થયો છે.
4 જિલ્લાના 23 તાલુકા માટે સરકારે જાહેર કર્યુ હતુ પેકેજ
જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-૨૦૨૧માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. ત્યારે ધનતેરસના શુભ મુર્હુત પર ખેડૂતોના ખાતામાં મેસેજ આવતા નુકસાનીને કારણે આર્થીક ભીડમાં ચાલતો ખેડૂતને થોડી રાહત મળી છે.
બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ, થોડા દિવસમાં થશે સહાયની જાહેરાત
રાજ્યમાં અતિવૃષ્ટિથી નુકસાન થયેલા જિલ્લાઓ માટે સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે અને આ મામલે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીમાં બાકી રહેલા 7 જિલ્લાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ 7 જિલ્લાઓમાં અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, પંચમહાલ અને અમરેલીનો સમાવેશ થાય છે. આજે 7 જિલ્લાઓની સર્વેની કામગીરીનો રિપોર્ટ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે આવનારા સમયમાં 7 જિલ્લાના ખેડૂતોને પણ સહાયનો લાભ મળશે.
રાહત પેકેજનો લાભ લેવા શું રહેશે પ્રોસેસ?
રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે ૮ –અ,તલાટીનો વાવેતરનો દાખલો, ૭-૧૨, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે.