2020ની અતિવૃષ્ટિ અને અન્ય કુદરતી આફતોની સહાયને ભેગી કરી 7 હજાર કરોડથી વધુની માંગ ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી છે.
રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માંગી સહાય
કુદરતી હોનારતને પહોંચી વળવા સહાયની માંગ
2020ની અતિવૃષ્ટિને માટે 7239.47 કરોડની માંગણી
કુદરતી હોનારતને પહોંચી વળવા રાજ્ય સરકારે કેન્દ્ર પાસે સહાયની માગણી કરી છે. 2020માં અતિવૃષ્ટિના નુકસાનને પહોંચી વળવા 7239.47 કરોડ રૂપિયા કેન્દ્ર પાસે માગ્યા છે. હજુ સુધી સરકારની આ માંગણી પર કેન્દ્ર દ્વારા કોઈ પણ મહોર લગાવવામાં આવી નથી પણ તૌક-તે વાવાઝોડાની નુકસાનીની માગણી સામે 1 હજાર કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે.
કુદરતી આફત માટે સહાય આપો કેન્દ્ર સરકાર
ગુજરાત સહિત દેશ આખોય કોરોના મહામારી સામે એક થઈને લડી રહ્યો છે પણ ખાસ કરીને હાલ ગુજરાત એક બાદ એક આવેલી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. 2020માં અતિવૃષ્ટિનો માર ઝેલી ઊભા થયેલા ગુજરાત વાસીઓ તૌક-તે વાવાઝોડાએ હેરાન હેરાન કરી નાખ્યા હતા, તૌક-તે વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતને વેઠવું પડ્યું હતું. જે બાદ હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઘણા એવા જિલ્લાઓ છે જેમાં 2020માં થયેલી અતિવૃષ્ટિ, અને તૌક-તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની બાકી છે. ત્યારે ગુજરાત સરકારે કુદરતી હોનારતને પહોંચી વળવા કેન્દ્ર પાસે હાથ લંબાવ્યો છે. 2020માં અતિવૃષ્ટિને પહોંચી વળવા 7239.47 કરોડની સહાય માગવામાં આવી છે જેમાં તૌક-તે વાવાઝોડાની નુકસાની અંગે 2448.83 કરોડની માંગણી કરી જ્યારે ખાસ કિસ્સામાં 9102.83 કરોડની માંગણી કરી છે. ત્યારે રાજ્ય સરકારની 11,551.66 કરોડની માંગ સામે કેન્દ્ર દ્વારા 1 હજાર કરોડની ચુકવણી કરવામાં આવી છે. ત્યારે બાકી વધતી સહાય જલ્દી મળે તેવા પ્રયાસ હાલ ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે પણ રાજ્ય સરકારની માંગણી સામે કેન્દ્રએ કોઈ પણ જવાબ આપ્યો નથી.
તૌકતે વાવાઝોડા મામલે ગુજરાત સરકારનો ખુલાસો
આજે ગુજરાત વિધાનસભામાં સરકારે તૌકતે વાવાઝોડા મામલે ચૂકવાય ગયેલી સહાય અંગે ખુલાસો કર્યો હતો. જેમાં સરકાર તફરથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગીર-સોમનાથમાં 70 હજાર 481 અસરગ્રસ્તોને મકાન સહાય ચૂકવી, 40 હજાર 698 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય અને 1 લાખ 2 હજાર 625 અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવાઈ જ્યારે અમરેલી જિલ્લામાં 53 હજાર 254 અસરગ્રસ્તોને મકાન સહાય, 49 હજાર 594 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય, 3 લાખ 7 હજાર 521 અસરગ્રસ્તને કેશડોલ સહાય ચૂકવી દેવામાં આવી છે. ત્યારે હજુ પણ અન્ય જિલ્લા ખેડૂતો તૌકતે વાવાઝોડાની સહાય મળશે તેવી આશ રાખી બેઠા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને જામનગર એ રાજકોટ પંથકમાં સપ્ટેમ્બરના અંતમાં પડેલા વરસાદે ભયવાહ તારાજી સર્જી છે તેનો સર્વે સરકાર દ્વારા થઈ રહ્યો છે. અને ટુંક સમયમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારે જોવું રહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે માગેલા 7239.47 કરોડના સહાય પેકેજ સામે કેટલા કરોડ મંજૂર કરે છે અને ગુજરાત સરકાર કેટલા ઉમેરી અસરગ્રસ્તો સુધી સહાય પહોંચાડે છે.