કાર્યવાહી માત્ર કાગળ પર હજુય અમદાવાદમાં 2,079 ઈમારતો પાસે ફાયર સેફટીના સાધનોનો અભાવ, તંત્રએ 31 બિલ્ડિંગ પર કાર્યવાહી કરી સંતોષ માન્યો?
રાજ્યમાં ફાયર સેફટી એકટ અંગે HCમાં અરજીનો મામલો
ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું સોગંધનામું
2,079 ઇમારતો પાસે ફાયર સેફટીનો અભાવ
રાજ્યમાં ફાયર સેફટી એકટ અંગે HCમાં અરજીનો મામલે આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારે સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. એક તરફ સરકાર એવું કહી રહી છે કે ફાયર NOCના હોય તેવા એકમો પર કાર્યવાહી ચાલી રહી છે. તો બીજી તરફ સોગંધનામું રજૂ કરી સરકાર જ આંકડા આપી રહી છે કે અમદાવાદમાં 2,079 જેટલી ઇમારતો પાસે ફાયર સેફટી નથી, 348 સ્કૂલો પાસે હજી NOCનો અભાવ જ્યારે નગરપાલિકાની 153 હોસ્પિટલ પાસે ફાયર NOC નથી. કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદના 31 એકમો સીલ કરવાની તજવીજ AMCએ કરી છે તો સામે સવાલ એ છે કે 2,079 જેટલી ઇમારતો પર કાર્યવાહી કરતાં તંત્ર કેમ પાંગળૂ સાબિત થઈ રહ્યું છે. હાઈકોર્ટ દરેક સુનાવણી વખતે કડક કાર્યવાહીના આદેશ આપી રહી છે તો સરકાર અને તંત્ર કેમ ગણી ગાઠયા એકમોને સીલ કરી સંતોષ માની રહી છે.
રાજ્ય સરકાર પ્રાથમિકતા આધારે કામ કરવુ જોઈએ: હાઇકોર્ટ
રાજ્યમાં ફાયર સેફટીની અમલવારી મામલે હાઈકોર્ટ પહેલાથી જ કડક રૂખ અપનાવી રહી છે. ફાયર એનઓસી મામલે ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર કરતાં કહ્યું છે કે અનેક શહેરોમાં આગ લાગવાનું જોખમ વધુ છે. સમયસર સરકારે ફાયર સેફટી એકટનું પાલન કરવું જરૂરી છે જેને કારણે રાજ્ય સરકાર પ્રાથમિકતા આધારે કામ કરવુ જોઈએ. 8 મનપા, ન.પા વિસ્તારોમાં ફાયર સે ફટી એક્ટનું કડક પાલન કરાવો.પણ તંત્ર હાઈકોર્ટના આદેશોને ઘોળીને પી રહ્યું એમ લાગી રહ્યું છે કાર્યવાહી માત્ર કાગળ પર થતી હોય તેમ 2,079 જેટલી ઇમારતો હજુ પણ ફાયર સેફટી વગર ધમધમી રહી છે
અમદાવાદ સહિત રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ અન્ય જિલ્લાઓમાં ફાયર સેફ્ટીના અભાવે પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન શાળાઓને પણ સીલ કરવામાં આવી હતી. હોસ્પિટલો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે. બીયુ પરમિશન અને ફાયર એનઓસી મામલે અનેક એકમો સીલ કરવામાં આવી રહ્યા છે પણ હજુ એવા કેટલાય એકમો એવા છે કે વગર ફાયર સેફટીએ ધમધમી રહ્યા છે.ત્યારે સરકારે રજૂ કરેલા સોગંધનામાં પ્રમાણે બાકી રહેલ ઈમારતો પર ક્યારે કાર્યવાહી થાય છે અને ક્યારે અમદાવાદથી દરેક બિલ્ડિંગ ફાયર સેફટીથી સજ્જ કરાય છે જોવું રહ્યું