ભારતના ચૂંટણી પંચે ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને જાહેર કરવા માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ઉમેદવાર અને તેની પાર્ટીએ ગુનાહિત કેસની વિગતો ન્યૂઝ પેપર અને ટીવીમાં પ્રકાશિત કરવાની રહેશે. આ કામ તેમને ત્રણ વખત કરવું પડશે.
ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો માટે આવ્યા નવા નિયમો
ભારતીય ચૂંટણી પંચે જાહેર કરી નવી સુધારેલી માર્ગદર્શિકા
નોમિનેશન પરત ખેંચ્યા બાદ ત્રણ વાર જાહેરનામું પ્રસિદ્ધ કરવું પડશે
શુક્રવારે ભારતના ચૂંટણી પંચે ગુનાહિત છબીઓવાળા ઉમેદવારોના કેસો જાહેર કરવા માટે સુધારેલી ગાઇડલાઈન જાહેર કરી હતી. નવી માર્ગદર્શિકામાં, ઉમેદવારોની સાથે, તેમને ટિકિટ દેનારી પાર્ટીઓને પણ નવા નિયમનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. સુધારેલા નિર્દેશમાં જણાવાયું છે કે ઉમેદવાર અને તેની પાર્ટીએ ગુનાહિત કેસની વિગતો ન્યૂઝ પેપર્સ અને ટીવીમાં પ્રકાશિત કરવાની રહેશે.
ઉમેદવારે પ્રસિદ્ધ કરવા પડશે ત્રણ જાહેરનામા
ચૂંટણી પંચની સુધારેલી માર્ગદર્શિકા મુજબ, ગુનાહિત તસવીર ધરાવતા ઉમેદવારોએ નોમિનેશન પરત ખેંચ્યાના 4 દિવસની અંદર પ્રથમ જાહેરનામું પ્રસિદ્ધ કરવું પડશે. જ્યારે બીજી જાહેરનામું નોમિનેશન પરત ખેંચ્યાના 5 થી 8 દિવસની અંદર અને ત્રીજું નોમિનેશન પરત ખેંચ્યાના 9 થી ચૂંટણી પ્રચારના અંતિમ દિવસ સુધીમાં જાહેર કરવું પડશે. ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારો અને તેમના રાજકીય પક્ષોએ ચૂંટણી પંચની આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
દેશમાં ગુનાહિત છબીવાળા 233 સાંસદો
નોંધનીય છે કે 2019ની 17 મી લોકસભામાં ચૂંટાયેલા 542 માંથી 539 સાંસદોના એફિડેવિટના વિશ્લેષણના આધારે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે કહ્યું છે કે આમાંથી 233 સાંસદો વિરુદ્ધ ગુનાહિત કેસ દાખલ થયા હતા. જે કુલ સાંસદોના લગભગ 43 ટકા સંખ્યા છે. આમાંથી 159 સાંસદો એટલે કે 29 ટકાની સામે હત્યા, ખૂનનો પ્રયાસ, બળાત્કાર અને અપહરણ સહિતના ગંભીર ગુનાહિત કેસો દાખલ થયેલા છે જે હજુ પડતર છે.
હાલ શું છે પરિસ્થિતિ ?
ભાજપના કુલ 116 સાંસદો (39 ટકા) અને કોંગ્રેસના 29 સાંસદો (57 ટકા) પર ગુનાહિત કેસ નોંધાયા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, 2009 ની લોકસભાની ચૂંટણીમાં, ફોજદારી કેસનો સામનો કરતા 162 સાંસદ હતા, જ્યારે 2014 માં આવા સાંસદોની સંખ્યા 185 હતી. હાલમાં ત્યાં 233 સાંસદો છે જે ગુનાહિત તસવીર સાથે લોકશાહીના સૌથી મોટા મંદિરમાં બેસે છે.
આ સિવાય માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીના 10 માંથી 5, JD(U) ના 16 માંથી 13 (81 ટકા), તૃણમૂલ કોંગ્રેસના 22 (41 ટકા) માંથી 9 અને CPI (M) ના 3 માંથી 2 સાંસદો સામે ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. રાજ્યસભામાં પણ આ જ પરિસ્થિતિ છે. રાજ્યોની વિધાનસભાઓની હાલત વધુ ખરાબ છે. ગુનાહિત વૃત્તિઓ અને દ્વેષી લોકોની યાદીમાં કેટલા મેયર, જિલ્લા પરિષદના સભ્યો, કાઉન્સિલરો અને ગામના વડાઓ શામેલ છે તેનો રેકોર્ડ રાખવો શક્ય નથી.