ગુજરાત સરકારે કોરોના પર કાબૂ મેળવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે બહારના રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે.
ગુજરાતમાં એન્ટ્રી પહેલા કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત
1 એપ્રિલથી આ નિયમ લાગુ કરવામાં આવશે
1 એપ્રિલથી RT-PCR નેગેટિવ રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ નહીં
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. એવામાં ગુજરાત સરકારે કોરોના પર કાબૂ મેળવવા વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે બહારના રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. એક એપ્રિલથી આ નિયમ અમલી બની જશે. એક એપ્રિલ બાદ અન્ય રાજ્યના મુસાફર રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં.
મહત્વનું છે કે, હોળીના સમયમાં લોકો પોતાના ઘરેથી પરત ગુજરાત આવવાની તૈયારી શરૂ થશે. 1 એપ્રિલથી જે લોકો ગુજરાતમાં આવશે. જે લોકો પાસે ટેસ્ટ રિપોર્ટ હશે તેમને જ એન્ટ્રી મળશે. ગુજરાતમાં એન્ટ્રી પહેલાના 72 કલાક સુધીનો RT-PCR નેગેટિવ રિપોર્ટ મંજૂર કરવામાં આવશે. જેમાં ખાસ રેલવે, હવાઈ કે, રોડ માર્ગથી જે લોકો ગુજરાત આવશે. તેમને આ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે.
અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત્ છે. કોરોનાના વધતા કેસને લઇને સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદીએ નિવેદન પણ આપ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 1 મહિનામાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયાની વાત સામે આવી છે. દર્દીઓની સંખ્યામાં 1 મહિનાના સમયગાળામાં 10 ગણો થયો વધારો થયો હોવાની વાત ડૉ.જે.વી.મોદી દ્વારા જાહેર કરાઈ છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 336 દર્દીઓ સારવાર હેઠળ છે. તો 64 ડૉક્ટરોને ત્વરિત ડેપ્યુટેશન પર સિવિલમાં મોકલાયા છે. નાગરિકોને અપીલ પણ કરી છે કે, હોળી-ધુળેટી પર્વ પર લોકોએ સંક્રમણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.