NOC વિનાની બિલ્ડીંગ્સના વીજ અને પાણી કનેક્શન કટ કર્યા: સરકાર
રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈ હાઇકોર્ટમાં કેટલાય સમયથી સુનાવણી ચાલી રહી છે. જે બાબતે હવે ગુજરાતમાં ફાયર સેફટીને લઈને હાઈકોર્ટને સરકારે જવાબ આપ્યો છે. અને કહ્યું છે કે NOC વિનાની બિલ્ડીંગ્સના વીજ અને પાણી કનેક્શન કટ કર્યા છે તેમજ કડક કાર્યવાહીનો નો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે હજુ પણ અનેક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના પર તવાઈ જરૂરી છે. તેમજ સુનાવણી દરમિયાન ઘરે એફિડેવિટ મોકલાવની તંત્રની આદતને ઝાટકી કાઢી હતી.
સરકાર કામ કરે, ખોટી આદત ના પાડે'
ફાયર સેફ્ટીને લઈને ચાલી રહેલી સુનાવણી અને તેના કાગજી કામોને લઇ હાઈકોર્ટે સરકારનો ઉઘડો લીધો હતો અને કહ્યું હતું કે જજના ઘરે મોકલેલા એફિડેવિટ મોકલવાનો કોઈ મતલબ નથી, સાથે સખત શબ્દોમાં કહ્યું હતું કે જજના ઘરે એફિડેવિટ મોકલાવની સરકારની આદત ચલાવી લેવાશે નહીં, સરકાર કામ કરે, ખોટી આદત ના પાડે'. મહત્વનું છે કે ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે કે જજના ઘરે પણ સરકાર અથવા તો અન્ય પક્ષો દ્વારા એફિડેવિટ કે અન્ય કોઈ જરૂરી કાગળિયા મોકલવામાં આવતા હોય છે પણ નિયમ કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી કોર્ટે સરકારને કામગીરી કોર્ટ પુરતી જ રાખવાની ટકોર કરી છે.
લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય: HC
આ પહેલા ફાયર સેફટી મુદ્દે 24 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં સુનવાણી થઈ હતી. જેમાં રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાઇ શકે છે. જણાવી દઈએ કે એવી કેટલીય સરકારી ઈમારતો અને સંકુલો છે જ્યાં ફાયર સેફટી નથી. અથવા તો હાઈકોર્ટના કડક વલણ બાદ ફાયર સેફટી લેવાઈ છે.