મેદાન નથી તો શાળાને મંજૂરી કેવી રીતે મળી ગઈ? આગળ વધશે ગુજરાત પરંતુ મેદાન વીના કેવી રીતે?
ભાવનગરની સરકારી શાળાઓ મેદાન વિહોણી
55માંથી 37 શાળા પાસે નથી મેદાન
મેદાન નથી તો શાળાને મંજૂરી કેવી રીતે મળી ગઈ?
રમશે ગુજરાત. જીતશે ગુજરાત. ખેલ મહાકુંભ, રાજ્ય કક્ષાની સ્પર્ધા, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા. અને આંતરરાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતના યુવાનો દેશનું નામ રોશન કરશે. આવા સ્વપના સરકાર આપણને રોજ બતાવે છે. પરંતુ ભણતરના પાયામાં જ જ્યાં રમતનું મેદાન ગાયબ હોય તે વિદ્યાર્થી કેવી રીતે રમત-ગમતમાં ગુજરાતનું નામ રોશન કરી શકે. આવું જ કાંઈ ભાવનગરની સરકારી શાળાઓમાં સામે આવ્યું છે. જ્યાં મોટા ભાગની શાળાઓ પાસે રમતનું મેદાન જ નથી.
55 માંથી 37 સરકારી શાળાઓમાં રમત-ગમતનું મેદાન જ નથી.
હવે આપણી સરકારે આ પ્રકારનું સુત્ર બનાવી લેવું જોઈએ. અને જ્યાં સભાઓ કરવા જાય ત્યાં આ સુત્રનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે, રાજ્યના મોટા ભાગના શહેરોમાં એવી સરકારી શાળાઓ ચાલી રહી છે. જ્યાં કોઈ રમત-ગમતનું મેદાન જ નથી. આજે વાત ભાવનગર શહેરની સરકારી શાળાઓની છે. કારણ કે, અહીં શહેરની 55 શાળાઓમાં 22 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને આ મનપા સંચાલીત 55 માંથી 37 સરકારી શાળાઓમાં રમત-ગમતનું મેદાન જ નથી. મનપા દ્વારા સરકારે બનાવેલા નિયમોના લીરા ઉડાવવાનું કામ કરાયું છે.
સરકારની જ નીતિઓ સામે સવાલો ઉભા થયા
એક તરફ સરકાર બાળપણથી વિધાયાર્થીઓ રમત પ્રત્યે રુચિ ધરાવે અને શારિરીક રીતે પણ તંદુરસ્ત રહે તે માટે અનેક યોજના બનાવી કરોડોના ખર્ચ કરી રહી છે. પરંતુ ભાવનગરની 37 શાળાઓ એવી છે કે, જયાં બાળકોને પી.ટી.ના વિષયમાં રમવા માટે મેદાન જ નથી. એજ્યુકેશન એક્ટ પ્રમાણે, રમતના મેદાન ન હોય તે શાળાને માન્યતા જ નથી અપાતી.જ્યારે બીજી તરફ ભાવનગરમાં મેદાન વીના જ સરકારી શાળાઓ ચાલી રહી છે. જે સરકારની જ નીતિઓ સામે સવાલો ઉભા કરે છે.
એક તરફ મેદાન નથી. તો બીજી તરફ રમત-ગમત માટેના સાધનો પણ મંજૂર થતાં નથી. જેથી વિદ્યાર્થીઓ શાળામાં નહીં તો શહેરની બહાર જઈને પણ રમત રમી શક્તા નથી. ભાવનગરના ખેલાડીઓમાં વિવિધ રમતોને લઈને ઉત્સાહ પણ છે. અને અનેક ખેલાડીઓ પોતાની રીતે આગળ વધવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ અંતે મેદાનના અભાવે અને યોગ્ય ટ્રેનિંગના અભાવે ક્યાંક ખેલાડીઓ પાછળ રહી જાય છે. આશા રાખીએ કે, સરકાર આ દીશામાં પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે જેથી. ભાવનગરના વિદ્યાર્થીઓને રમત-ગમત માટે મેદાન મળી શકે.