શિક્ષકોની બદલી અને ભરતીના નિવેડા માટે બનાવવામાં આવેલી કમિટીની 1લી માર્ચે ગાંધીનગર ખાતે બેઠક યોજવા જઈ રહી છે. જેમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે.
શિક્ષકોની બદલી અને ભરતીના વિવાદનો આવશે નિવેડો
સરકારે કુલ 15 સભ્યોની બનાવી છે એક કમિટી
આગામી 1લી માર્ચે ગાંધીનગર ખાતે યોજાશે મહત્વની બેઠક
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની અટકી પડેલી બદલી અને નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે મથામણ શરૂ કરવામાં આવી છે. આગામી 1લી માર્ચે ગાંધીનગર ખાતે સરકાર દ્વારા બનાવવામાં આવેલી કમિટીની બેઠક યોજવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકમાં શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થઈ શકે છે.
હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે મામલો
રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈને હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. હાઈકોર્ટમાં જુદી-જુદી જોગવાઈઓમાં 250થી વધારે પીટીશન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી 117 જેટલી પીટીશન પેન્ડિંગ છે.
ઠરાવ સામે શિક્ષકોએ ઉઠાવ્યો હતો વાંધો
ગત 14મી ઓક્ટોબર 2022ના રોજ શિક્ષકોની બદલીને લઈને પ્રસિદ્ધ થયેલા સુધારા ઠરાવ સામે શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો. શિક્ષકોએ આ ઠરાવ સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેથી હવે આ ઠરાવમાં પણ ફરી સુધારો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ માટે સરકારે કુલ 15 સભ્યોની કમિટી બનાવી છે.
નિવેડો લાવવા 15 સભ્યો કમિટીની રચના
આ ઠરાવમાં સુધારો કરવા અને યોગ્ય નિરાકરણ લાવવા ઘડાયેલ 15 સભ્યોની કમિટીમાં શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ, ઉપસચિવ, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક, 7 ડીઈઓ-ડીપીઈઓ અને 4 ટીપીઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગત શુક્રવારે યોજાઈ હતી પ્રથમ બેઠક
આ કમિટીની પ્રથમ બેઠક ગત શુક્રવારે ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં તમામને યોગ્ય સુજાવ કરવા માટે હોમવર્ક અપાયું હતું. જેથી હવે આ સંદર્ભે બીજી બેઠક 1 માર્ચે યોજવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, આ બેઠક પણ ગાંધીનગરના GCERTની કચેરી ખાતે જ યોજાશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય માંગ્યા બાદ આગામી કાર્યવાહી કરાઈ શકે છે.