દેશમાં કોવિશિલ્ડ અને કોવાક્સિન રસીને મંજૂરી મળ્યા બાદ વિવિધ ઘટનાક્રમોને બંને રસીની નિર્માતા કંપનીઓ વચ્ચે વિવાદ વધ્યો હતો જેના પછી સરકારે પાછલા બારણેથી દરમિયાનગીરી કરી હતી અને વિવાદને શાંત પાડ્યો હતો, સરકારે કહ્યું છે કે બંને રસી સલામત છે અને સામાન્ય લોકો કોઈપણ રસી મેળવી શકશે.
ભારતમાં બે કોરોના વેક્સિનને મળી ગઈ છે મંજૂરી
સીરમની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવાકસિનને મળી હતી મંજૂરી
બંને કંપનીઓ વચ્ચે વિવાદ વધ્યો હતો, પછી જાહેર કર્યું સંયુક્ત નિવેદન
કેન્દ્ર સરકાર બંને કંપનીઓ વચ્ચેના ટકરાવને ધ્યાનમાં રાખીને સક્રિય થઈ હતી અને અને મંગળવારે મધ્યમમાર્ગીય બની સરકારે બંને કંપનીઓના હસ્તાક્ષર સાથે સંયુક્ત નિવેદન બહાર પાડતાં કહ્યું કે બંને રસી સંપૂર્ણપણે સલામત છે અને લોકો તેમના પર વિશ્વાસ કરી શકે છે. આ બંને રસી લોકોને લાગુ કરવામાં આવશે. મહત્વનું છે કે અદાર પૂનાવાલા અને ડો. કૃષ્ણા એલ્લા વચ્ચે વિવાદ વધ્યો હતો જેના પછી બીજા દિવસે બંને કંપનીઓએ સંયુક્ત નિવેદન બહાર પાડતા કહ્યું હતું કે લોકોનો જીવ બચાવવો જ અમારી પ્રાથમિકતા છે.
શું હતો વિવાદ ?
મહત્વનું છે કે તાજેતરમાં અદાર પૂનાવાલા અને ડો. કૃષ્ણા એલ્લા વચ્ચે વિવાદ વકર્યો હતો જેમાં સીરમના સીઇઓએ કહ્યું હતું કે દુનિયામાં માત્ર ત્રણ જ વેક્સિન ફાઈજર, મોડર્ના અને કોવિશિલ્ડ કોરોના પર અસરકારક પુરવાર થઈ છે જ્યારે કે બાકી બધી સલામત ખરી પણ પાણી જેવી, અને સામે ભારત બાયોટેક તરફથી કહેવામાં આવ્યું હતું કે અમારી વેક્સિન 200 ટકા કારગર છે અને કોવિશિલ્ડ ના પરીક્ષણમાં વૉલંટિયર્સને પેરાસિટામોલ અપાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ભારત બાયોટેકના એમડી ડો.કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે અમારી વેક્સિનમાં 10 ટકા જેટલી જ સાઈડ ઇફેક્ટ જોવા મળે છે જ્યારે કે અન્ય વેક્સિનમાં 60 થી 70 ટકા જેટલી આડઅસર થાય છે, એસ્ટ્રાજેનેકાએ તેમના પરીક્ષણમાં વૉલંટિયર્સને પેરાસીટામોલ આપી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.આમ આ વિવાદ વકર્યો હતો.
અદાર પૂનાવાલાએ કરી હતી પહેલ
જો કે આ પછી, પૂનાવાલાએ વિવાદના નિરાકરણની પહેલ કરતાં મંગળવારે બપોરે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં ભારત બાયોટેક સાથેના ગેરસમજોને દૂર કરવા માટે એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે. જેના પછી બંને કંપનીઓએ એક નિવેદન બહાર પાડતા કહ્યું હતું કે લોકોના જીવ બચાવવો એ જ અમારી પ્રાથમિકતા છે. માટે અમે સાથે મળીને કામ કરીશું.