ગૃહ મંત્રાલયે ગુરુવારે કોરોના માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જેમાં ચૂંટણી છે એવા 12 રાજ્યો માટેની ગાઈડલાઇન્સમાં જ આ બદલાવ કરાયો છે. આ રાજ્યોમાં તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓને મંજૂરી આપવામાં આવી છે.
હાલમાં બિહાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. તે સિવાય અન્ય રાજ્યોમાં પણ પેટાચૂંટણી યોજાઇ રહી છે, જેણે લઈને બુધવારે, ચૂંટણી પંચે કોરોના રોગચાળા દરમિયાન ચાલુ અને ભાવિ ચૂંટણીઓ માટે સ્ટાર પ્રચારકોથી સંબંધિત માપદંડમાં સુધારો કર્યો હતો.
રજિસ્ટર્ડ પક્ષો માટે 30 સ્ટાર પ્રચારકો અને બિન રજિસ્ટર્ડ પક્ષો માટે 15 સ્ટાર પ્રચારકોની જ મંજૂરી છે
તદનુસાર, રોગચાળા દરમિયાન માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય / રાજ્યના રાજકીય પક્ષો વધુમાં વધુ 30 સ્ટાર પ્રચારકો અને બિન રજિસ્ટર્ડ રાજકીય પક્ષો માટે 15 સ્ટાર પ્રચારકો ની લિમિટ નક્કી કરાઇ છે. આ પહેલા, 21 ઓગસ્ટના રોજ, ચૂંટણી પંચે કોરોના કાળમાં ચૂંટણી યોજવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી હતી.
ડોર ટુ ડોર પ્રચારમાં 5 લોકો જ જઈ શકશે
આ માર્ગદર્શિકા બિહાર વિધાનસભાની ચૂંટણી અને અન્ય પેટા-ચૂંટણીઓ માટે જારી કરવામાં આવી છે. હવે ડોર ટૂ ડોર પ્રચારમાં ઉમેદવારો સહિત ફક્ત પાંચ લોકો જ ભાગ લઈ શકશે. ઉમેદવારો જામીન રકમ ઓનલાઇન ભરી શકશે. ગૃહ મંત્રાલય અને રાજ્યોના કોરોના અંગેની માર્ગદર્શિકા અનુસાર જાહેર સભાઓ અને રોડ શોને મંજૂરી આપવામાં આવશે.
નોંધનીય છે કે કોરોના મહામારી ના આ યુગમાં બિહારની આ પ્રથમ મોટી ચૂંટણી છે. ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી છે. આ વખતે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે. 7.29 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પરંતુ આ વખતે ચૂંટણી ગત ચૂંટણી કરતા એકદમ અલગ જ હશે અને તેનું કારણ કોરોના વાયરસ છે.
ગુજરાતમાં પેટાચૂંટણી હોવાથી અહી પણ રેલીઓ કાઢી શકાશે
ગુજરાતમાં પણ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઈ રહી છે, જેણે લઈને કેન્દ્ર સરકારે કરેલા બદલાવના લીધે હવે ગુજરાતમાં પણ રાજકીય રેલીઓ યોજી શકાશે. આમ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો હવે રાજકીય રેલીઓ યોજી શકશે.