બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The gorge of Sabarmati river in Aglod village of vijapur became a problem for the locals
Malay
Last Updated: 03:03 PM, 21 March 2023
ADVERTISEMENT
સાબરમતી નદીના કિનારે વસેલા ગામમાં દર વર્ષે નદીના કોતરો ધોવાઈને ગામ તરફ આવી રહ્યા છે. આ કારણે અત્યાર સુધીમાં 8 મકાન નદીના કોતરોમાં સમાઈ ગયા છે તો 7 મકાન હાલ ગમે તે ઘડીએ ધસી પડે તેવી સ્થિતિમાં છે. તો બીજી તરફ વહીવટીતંત્રના મતે આ મકાનને બચાવવા માટે સંરક્ષણ દીવાલ બનાવવા માટે મોટી ગ્રાન્ટની જોગવાઈ સંભવ નથી. આ સ્થિતિમાં અતિ પ્રાચીન એક ગામ નદીમાં સમાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ક્યાં આવેલું છે આ ગામ અને કેવી રીતે ગામ નદીમાં સમાઈ રહ્યું છે. જુઓ અમારા આ રિપોર્ટમાં
ADVERTISEMENT
દર વર્ષે નદીમાં સમાઈ રહ્યું છે આગલોડ
મણિભદ્ર વીર જૈન તીર્થ આગલોડથી આમ તો આખા ગુજરાતમાં કોઈ પરિચિત નહીં હોય તેવું ન બને. પણ આ ગામનું એક પાસું એવું છે જેની ઉપર વહીવટી તંત્રએ ક્યારેય ધ્યાન જ આપ્યું નથી. વિજાપુર તાલુકાનું આ સૌથી પ્રાચીન નગર હોવાની સાથે સાથે આ ગામ સાથે અનેકવિધ ઇતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે આ ગામની રચના અગત્સ્ય મુનિએ કરી હતી અને આ જ કારણે આ ગામ અગત્સ્ય પુરી તરીકે ઓળખાતું. સમય જતાં અગત્સ્યપુરીનું આગલોડ થયું અને આજે આ ગામ જૈન તીર્થ તરીકે સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે પરંતુ સાબરમતી નદીના કિનારે વસેલું આ ગામ દર વર્ષે નદીમાં સમાઈ રહ્યું છે.
અત્યારસુધીમાં 8 મકાન નદીમાં સમાઈ ગયા
દર વર્ષે આ ગામ તરફ સાબરમતી નદીના કોતર ધસી રહ્યા છે, જેને કારણે નદી નજીક બનેલા 8 મકાન અત્યારસુધીમાં નદીમાં સમાઈ ગયા છે. તો હાલમાં 7 જેટલા મકાન ગમે ત્યારે કોતરોમાં સમાઈ જાય તેવી સ્થિતિ છે. દર વર્ષે ધસાઈ રહેલા કિનારાથી સ્થિતિ એવી ઉભી થઇ છે કે લોકો ઘરનો દરવાજો ખોલે તો સામે ઊંડી ખીણ અને મોત દેખાય છે. જેના કારણે સામાન્ય વરસાદ પડે તો પણ ઘરમાં વસતા લોકો ફફડી ઉઠે છે. અહીં વસતા અનેક પરિવારોનું દર વખતે ચોમાસામાં અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડે છે અને ચોમાસુ પતે એટલે પરિવારોને પરત પોતાના ઘરમાં મોકલી દેવાય છે. જોકે, આ કોતર વધુ ન ધસે તે માટે કોઈ જ કામગીરી થતી નથી.
લોકો મુસીબતમાં
સાબરમતી નદીના કિનારે વસેલા આ ગામની ભૌગોલિક સ્થતિ પણ થોડી અલગ છે. નદીના પટને કારણે ગામ ઊંચાઈ ઉપર વસેલું છે. એટલે કે ગામથી નદીનો પટ 100 ફૂટ કરતા વધુ ઊંડાઈ ધરાવે છે. આ કારણે નદીના ધસી રહેલા કોતર અને સાબરમતી નદી સ્થાનિક લોકો માટે હાલ મુસીબતનું કારણ બની ગઈ છે. હાલમાં મકાન પડી ગયા બાદ નદી કિનારે કોઈ મકાન બનાવવા તૈયાર નથી. પરંતુ ગામમાં અન્ય સ્થળે જમીન ઉપલબ્ધ નહીં હોવાને કારણે ન છૂટકે લોકો એ પડી ગયેલા મકાનથી થોડે દૂર નવા મકાન બનાવવાની ફરજ પડે છે.
મકાનના માલિકો કરી રહ્યા છે માંગણી
સ્થાનિક લોકોની માગણી છે કે ગામના રક્ષણ માટે સંરક્ષણ દીવાલ બનાવી આપવામાં આવે. જોકે, વહીવટીતંત્રના મત મુજબ 100 ફૂટ ઊંડાઈથી સંરક્ષણ દીવાલ બનાવવા માટે ગ્રાન્ટની જોગવાઈ કરવી અશક્ય છે. તો બીજા સ્થળે જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે આ મકાન માલિકોને અન્ય સ્થળે જમીન પણ ફાળવી શકાય તેમ નથી. આ મકાનો સાથે સ્થાનિક લોકોની યાદો જોડાયેલી છે અને આ કારણે સ્થાનિક લોકો પોતાના મકાન બચાવી લેવા મથામણ કરી રહ્યા છે. જોકે, સ્થાનિક તંત્ર પાસે ગ્રાન્ટની જોગવાઈ ન હોવાને કારણે આગલોડ ગામનો આ પ્રશ્ન અધ્ધરતાલ જ રહ્યો છે. આમ એક તરફ નદીનો પટ લોકોના મકાનો સ્વાહા કરી રહ્યો છે તો બીજી તરફ તંત્ર પ્રોટેક્શ વોલ બનાવવા અસમર્થતા દર્શાવી રહ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે ગુજરાતના આ ગામને બચાવવા કેવા પગલાં લેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.