મહેસાણાના વિસનગરમાં ભારે વરસાદના કારણે ખુલ્લી ગટરમાં 14 વર્ષીય વિદ્યાર્થિની ગરકાવ થઇ હતી. જેને કારણે વિદ્યાર્થિનીનું મૃત્યુ થતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ હવે બાળકીના મોત બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આ તરફ સત્તાધીશો મીડિયાને જવાબ આપવાને બદલે મોં છુપાવીને ભાગ્યા હતા. શાળાએ ગયેલી બાળકી પરત નહીં ફરતા અને અચાનક બાળકીના મોતના સમાચાર મળતા પરિવારજનો પણ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
શું હતો સમગ્ર બનાવ ?
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ધોધમાર વરસાદથી શહેર આખું પાણી પાણી થઇ ગયું હતું. માત્ર એક કલાકના સમયમાં અઢી ઇંચ વરસાદથી શહેર જળ બંબાકાર થઇ ગયું હતું. આ જળ બંબાકારની સ્થિતિ વચ્ચે ૧૪ વર્ષીય કિશોરી જીયા નાઈ પોતાની બહેનપણી સાથે શાળાથી ઘરે પરત જતી હતી. જોકે નગરપાલિકાની બેદરકારી ગણો કે વિધિની વક્રતા જીયા નાઈ નામની કિશોરી ધસમસતા નાળામાં તણાઈ ગઈ હતી. બે બહેનપણીઓ સાયકલ લઇને ઘરે જતી હતી ત્યારે બનેલી ઘટનામાં એક કિશોરી બચી ગઈ હતી. જોકે સાથે રહેલી જીયા નાઈ પાણીમાં ગરકાવ થઇ ગઈ હતી. વ્હાલસોયી દીકરી ખુલ્લી ગટરના નાળામાં ગરકાવ થઇ જતા તંત્રની લાપરવાહી સામે પરિવારજનો અને લોકોએ સવાલો કર્યા હતા.
આ તરફ તંત્ર દ્વારા ત્રણ કલાકની ભારે શોધખોળને અંતે બાળકી મળી તો આવી પરંતુ, હોસ્પિટલ લઈ જવાય તે પહેલા જ તેણીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના અંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલને મીડિયાએ સવાલ કર્યો હતો, પરંતુ વર્ષાબેન જવાબ આપવાને બદલે ભાગ્યા હતા. આ તરફ શાળાએ ગયેલી દીકરીના મોતના સમાચાર સાંભળી પરિવારજનો ભાંગી પડ્યા હતા. તો શહેરમાં પણ બાળકીના મોતને લઈ શોકના માહોલ વચ્ચે પણ તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
લાડ લડાવી સ્કૂલે મોકલેલી બાળકીની હવે અર્થી ઉઠશે
ગઈકાલે સવારે જીયાના પરિવારે તેને શાળાએ મોકલી હતી. વિધિની વક્રતા ગણો કે નગરપાલિકાની ઘોર બેદરકારી ગણો જીયા નાઈ ધસમસતા નાળામાં તણાઈ ગઈ હતી. ગઈકાલે શાળાએથી બહેનપણી સાથે પરત ફરતી જીયા ધસમસતા નાળામાં તણાઈ જતાં લોકો અને તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. પરંતુ બાળકીએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ જીવ ગુમાવ્યો હતો. જોકે લાડ લડાવી સ્કૂલે મોકલેલી બાળકીની હવે અર્થી ઉઠશે તે ક્ષણે તેના માતાપિતા પર શું વિતશે તેનો અંદાજો પણ આ સત્તાધીશોને નહીં હોય.
સ્થાનિકોમાં ભારે રોષ
14 વર્ષીય કિશોરી જીયા નાઈના મોત બાદ પરિવારજનો સહિત શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના મત મુજબ વિસનગર શહેરમાં ખુલ્લી ગટરના નાળા ઘણા લાંબા સમયથી છે અને વિસનગર નગરપાલિકામાં બેસતા સત્તાધીશો અને જવાબદાર અધિકારીએ આ માટે કોઈ જ પગલા લીધા ના હોવાથી આજે વ્હાલસોયી દીકરી ને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ સાથે વિસનગર ધારાસભ્ય અને નગરપાલિકા ને ખબર છે કે, આ ખુલ્લી ગટરના નાળાનું પાણી વરસાદમાં એક બાજુથી બીજી તરફ જાય છે. તેમ છતાં સેફટી વોલ બનાવવા ની તસ્દી લીધી નહિ. આથી જ નાયી પરિવારની લાડકી દીકરી જીયા ખુલ્લી ગટરમાં ગરકાવ થઇ ગઈ અને આખરે મોતને ભેટી છે. સ્થાનિક તંત્રની બેકાળજી અને લાપરવાહીના કારણે બનેલી ઘટનામાં એક કલાક રેસ્ક્યુ તો કરવામાં આવ્યું પણ સંપૂર્ણ નિષ્ફળતા મળી અને કિશોરી મોતણએ ભેટી હતી. આ અતિ સંવેદનશીલ ઘટના માં જવાબદાર વિસનગર નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલને મીડિયાએ પુછવાનો પ્રયાસ કરતા લપાતા છુપાતા પોતાની નિષ્ફળતાથી દુર ભાગી ગયા હતા.
નગરપાલિકા આગોતરું આયોજન કરે તો આવી ઘટનાઓને નિવારી શકાય
સ્થાનિક ચર્ચાઓ મુજબ પંચાયત હોય કે પાલિકા બધી જ જગ્યાએ સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ પોતાના લાભને પ્રાથમિકતા આપતા હોવાથી લોકોના જીવને બચાવવા માટે અતિ જરૂરી સ્થાનો ઉપર કોઈ જ કામગીરી કરતા નથી. જો આ ગટરના નાળા આગળ સેફટી વોલ હોત તો કદાચ નાયી પરિવારની વ્હાલસોયી દીકરી જીયા આજે જીવતી હોત. પરંતુ વિસનગર નગરપાલિકાની બેકાળજી અને લાપરવાહીએ વ્હાલસોયી દીકરી જીયાનો જીવ લઇ લીધો છે. આ કારણે જ વિસનગર શહેરમાં આ દુખદ ઘટનાના પગલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે સરકારી તંત્રની સાંત્વના નાયી પરિવારનું દુઃખ ઓછું કરી શકશે એ મોટો સવાલ છે. જોકે હવે આ ઘટના ઉપરથી વિસનગર તેમજ રાજ્યની અન્ય નગરપાલિકાઓ બોધપાઠ લઇ આગતારું આયોજન કરશે કે પછી લોકોને જીવના જોખમે જીવવા છોડી દેશે એવા અનેક સવાલો ઉભા થયા છે.