આણંદ: જ્ઞાનની એકવીસમી સદીમાં ચરોતરના પણ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હજીયે જાદુ, ભૂતપ્રેતનો વાસ હોવા સહિતની અંધશ્રદ્વાઓ પ્રવર્તી રહી છે. તેમાંયે અવાવરુ જગ્યા, સ્મશાનની આસપાસનો વિસ્તાર તેમજ સૂમસામ માર્ગો પર ભૂતપ્રેતનો વાસ હોવાનો ભ્રમ લોકોને રહ્યા કરે છે. તેમાંયે કાગનું બેસવું અને ડાળનું તૂટવું જેવી ઘટનાઓ આવી અંધશ્રદ્વાને બળ આપતી હોય છે. પરંતુ એક સરકારી બાબુએ એક કામ કરી સૌને ચોંકાવી દીધા.
પેટલાદ તાલુકાના નવી સિંહોલ ગામના મહાકાળી પરા વિસ્તારમાં રપ0 વર્ષથીયે જૂના ઘેઘુર વડની બાજુમાં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થળે ભૂત પ્રેતનો વાસ હોવાની કેટલાક ગ્રામજનોમાં અંધશ્રદ્વા વ્યાપી હતી. આથી બપોર બાદ આ સ્થળે ભાગ્યે જ કોઇ અવરજવર થતી હતી.
તેમાંય તેમાંયે કાગનું બેસવું અને ડાળનું તૂટવું જેવી ઘટનાઓ આવી અંધશ્રદ્વાને બળ આપતી રહેતી હતી. એક તો અવાવરુ જગ્યા, પાછો સ્મશાનની આસપાસનો વિસ્તાર એને વધારે ભયાનક બનાવતો આ ઘેધૂર વડ સૂમસામ માર્ગ પર ભૂતપ્રેતનો વાસ હોવાનો લોકોને ભ્રમ પેદા કરાવતો હતો.
ઉલ્લેખનીય છે કે, નવી સિહોલના મહાકાલી પરા વિસ્તારમાં રપ0 વર્ષથીયે પુરાણો વડ આવેલો છે. વડ નજીક વર્ષોજૂના મહાકાલી મંદિર પરિસર અને બ્રહ્મલીન શ્રી સંતદાસજી ગીરનારી બાપુ ની સમાધિ છે. આ વિસ્તારમાં ગામની ગૌચર જમીન આવેલી છે. વર્ષ ર00રમાં મહાકાળી મંદિરના પૂજારીની હત્યા થઇ હતી. જેના હત્યારા હજી સુધી ઝડપાયા નથી.
આથી 17 વર્ષથી હત્યાનો મામલો રહસ્યમય બન્યો છે. જેમાં વડ ઉપર ભૂતપ્રેતનો વાસ હોવાની ગેરમાન્યતા પ્રવર્તી રહી હતી. પરંતુ ગામલોકોમાં પ્રવર્તતી આ ગેરમાન્યતા અને ડર અને અંધશ્રદ્ધા દૂર કરવાનું બિડુ એક પ્રાંત અધિકારીએ ઉઠાવ્યું જેમનું નામ છે એમ.એસ. ગઢવી.
લોકોમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરવા પેટલાદ પ્રાંત અધિકારી એમ.એસ.ગઢવીએ આ વડ નીચે ખાટલો પાથરીને આખી રાત્રિ સૂઇ રહ્યા. જો કે એ રાત દરમિયાન ગ્રામજનોમાં ડરમિશ્રિત કુતૂહલ રહ્યું હતું. પરંતુ સવારે પ્રાંત અધિકારીએ ગ્રામજનોને આ સ્થળે ભૂતપ્રેત હોવાની માત્ર ભ્રામકતા સાબિત કરી દીધી.
આપને જણાવી દઇએ કે, જાદુ-ટોણા,ભૂત-પ્રેતના પ્રખર વિરોધી રમેશભાઇ રાબાએ પણ આ વડ નીચે સૂઇને ગ્રામજનોમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવા નવો અભિગમ અપનાવ્યો હતો. ગ્રામજનોને અંધશ્રદ્વાથી દૂર રહેવા અપીલ કરી હતી. એટલું જ નહીં અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે શિક્ષિત બનવું અને પરસ્પર એકતા રાખવી પણ જરૂરી ગણાવી હતી.
જ્ઞાનની 21મી સદીમાં અને વિજ્ઞાનના પ્રકાશમાં ભૂત -પ્રેત એ માત્ર એક ભ્રમ સ્વરૂપે જ રહ્યા છે. ભૂત પ્રેતના કોઈ વૈજ્ઞાનિક તથ્ય સાંપડતા નથી. પરંતુ કેટલાક અસામાજિક તત્વો અભણ ગ્રામજનો વચ્ચે પોતાનો ફાયદો શોધવા ડરનો માહોલ ઉભો કરવા પ્રવૃત્ત હોય છે ત્યારે એક ઓફિસરનો આ પ્રકારનો જાગૃત અભિગમ નવા વિચારના અજવાળા પાથરશે તેમાં કોઈ બે મત નથી.