કોરોનાકાળમાં માતા-પિતાના નિધન બાદ બાળકની કસ્ટડી કોની ? તેને લઈ હવે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકના ઉછેરની જવાબદારી દાદા-દાદીને આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે. વિગતો મુજબ બાળક તેના માતા-પિતા સાથે ગુજરાતમાં રહેતો હતો. 2021માં કોરોનાની બીજી લહેરમાં તેના પિતાનું 13 મેના રોજ અને માતાનું 12 જૂનના રોજ અવસાન થયું હતું. જેથી માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે નાના-નાની બાળકને અમદાવાદમાં તેના ઘરેથી દાહોદ દાદા-દાદીના ઘરે લઈ ગયા હતા. જે બાદમાં તેને પરત લાવ્યા ન હતા.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, માતાના પક્ષ (નાના-નાની) કરતાં દાદા-દાદીનો 6 વર્ષના બાળક પર વધુ અધિકાર છે. બાળકના સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે ચિંતિત દાદા-દાદીએ બાળકની કસ્ટડી માંગી હતી. જોકે હાઈકોર્ટે બાળકની 46 વર્ષીય માસીનેએ આધાર પર કસ્ટડી આપી હતી કે, તે અપરિણીત છે, કેન્દ્ર સરકારમાં નોકરી કરે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. કોર્ટે શોધી કાઢ્યું કે તે બાળકના ઉછેર માટે યોગ્ય રહેશે. તેનાથી વિપરીત, બંને દાદા દાદી વરિષ્ઠ નાગરિક છે અને દાદાના પેન્શન પર નિર્ભર છે.
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા પર રોક લગાવી
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ.આર.શાહ અને અનિરુદ્ધ બોઝની ખંડપીઠે માસીને બાળકની કસ્ટડી આપવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દાહોદ કરતાં અમદાવાદમાં શિક્ષણની સુવિધા સારી છે. દાહોદ આદિવાસી વિસ્તાર છે. 46 વર્ષની અપરિણીત કાકીની તુલનામાં વરિષ્ઠ નાગરિક દાદા-દાદીને અયોગ્ય ઠેરવવા પર, બેન્ચે કાકીના વકીલને પૂછ્યું કે 71 અને 63 વર્ષની વયના દાદા-દાદીને તેમના પૌત્રોની કસ્ટડી માટે કેવી રીતે અયોગ્ય ઠેરવી શકાય છે. કોર્ટે કહ્યું, 'આ દિવસોમાં 71 અને 63 વર્ષની ઉંમર કંઈ નથી. લોકો આના કરતા પણ વધુ મજબૂત રહે છે.