અરવલ્લી જિલ્લાના શામળાજી, વેણપુર, રુદરડી પાસેના જંગલોમાં આગ જોવા મળી રહી છે. આમ છતાં વનવિભાગ હજુ સુધી નિષ્ક્રિય સ્થિતિ છે.
શામળાજી આસપાસના ડુંગરોમાં આગ
છેલ્લા બે દિવસથી આગથી સળગી રહ્યા છે ડુંગર
જંગલ વિસ્તારમાં આગ લાગવાની સતત વધતી ઘટના
શામળાજી આસપાસના ડુંગરોમાં આગની જ્વાળાઓ ઉઠી છે. છેલ્લા બે દિવસથી આગથી ડુંગરનો ભાગ સળગી રહ્યો છે. શામળાજી, વેણપુર, રુદરડી પાસેના જંગલોમાં આગ જોવા મળી રહી છે. આમ છતાં વનવિભાગ હજુ સુધી નિષ્ક્રિય સ્થિતિ છે. જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે તંત્રની નિષ્ક્રિયાના કારણે પણ સવાલો ઉઠી રહ્યા છે.
તો આ તરફ અરવલ્લીના બાયડના ચોઈલામાં ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે તણખા પડતા ઘઉંનો પાક સળગ્યો હતો. ખેતરમાં આગ લાગવાના કારણે ભારે નુકસાન થયું છે. ચોઇલાના ખેડૂતને 300 મણ ઘઉંનુ નુકસાન થયું છે.
ધોરાજીમાં ઘઉંના ખેતરોમાં આગ લાગવાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજશે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે ગૃહમાં 116 મુજબની નોટિસ પણ દાખલ કરી છે. આ અંગે વસોયાએ જણાવ્યું કે વીજ કંપનીની બેદરકારીના કારણે ખેતરમાં આગ લાગે હતી. તથા આ માટે વીજ કંપનીની નબળી કામગીરી જવાબદાર ગણાવ્યા હતા. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જ જોઈએ તેવું વસોયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસમાં 3 ખેતરોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
વીજલાઈનના કારણે ખેડા જિલ્લામાં ખેતરમાં આગ
ખેડા જિલ્લામાં 25 માર્ચના દિવસે ખેડૂતની મહેનત આગના કારણે ખાખ બની ગઈ હતી. ઠાસરાના હરિપુર ગામે ખેતરમાં ઘઉંનો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે. ખેતર પરથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થઈ હતી. વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના તણખા ઘઉંના પાકમાં પડતા આગ લાગી હતી. અને સમગ્ર પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ ઈમરજન્સી સેવા 101માં ફોન કરવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. વીજ લાઈનના કારણે ત્રણ વિઘા ઉપરાંત જમીનમાં ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. મહામહેનતે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો પણ ઝૂંટવાઈ ગયો છે.