ગોતાબ્રિજ પાસે બીએમડબ્લ્યુ લઇને જઈ રહેલાં વેપારીને તેમની જ સોસાયટીમાં રહેતાં પિતા અને બે પુત્રએ ગડદાપાટુનો માર મારીને લાકડાનાં દંડાથી કારનાં કાચ તોડી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
એક વેપારીને રસ્તામાં રોકી સોસાયટીનાં જ રહીશે માર માર્યો
વેપારીને માર મારનાર પિતા અને તેના બે પુત્રો સામે ફરિયાદ
આરોપીએ ધમકી આપી કે ઘર ખાલી કરો નહીતર ફેમિલીને ઉડાવી દઇશું
3 લોકો સામે માર માર્યાની ફરિયાદ
ગોતા વિસ્તારમાં આવેલ વીર સાવરકર હાઈટ્સમાં-2માં રહેતાં અને મેઘાણીનગર તથા દૂધેશ્વરમાં ઓફિસ ધરાવતાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટનો વેપાર કરતાં આશુતોષ પાંડેએ ત્રણ ઈસમ વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેમની જ સોસાયટીમાં રહેતા પિતા અને બે પુત્રો સામે માર માર્યાની તથા કારના કાચ તોડી નાંખ્યાંની ફરિયાદ નોંધાવી છે.
કારની આગળ બાઇક લગાવી રસ્તો રોક્યો
આશુતોષભાઈ સોમવારે તેમનાં ઘરેથી બીએમડબ્લ્યુ લઈ ઓફિસ જવાં નીકળ્યાં હતાં. ત્યારે વસંતનગર ગેટથી ગોતાબ્રિજ તરફ પહોંચતાં એક બાઈક ચાલકે બાઇક લઇ આવી તેમની કારનીઆગળ ઊભું રાખી દીધું હતું. તે સમયે આશુતોષભાઈએ કારનો કાચ ખોલીને જોયું તો તેમની સોસાયટીમાં રહેતા કનુભાઈ પટેલ તથા તેમનાં બે દીકરા ચેતન અને આશિષ તથા પાંચ ઈસમ કાર ફરતે ઊભા થઇ ગયા હતા.
તારી ફેમિલીને ઉડાવી દઇશું
ચેતનભાઈએ આશુતોષભાઈ પાસે આવીને ધમકી આપતા કહ્યું હતું કે ‘તું અહીંનો નેતા થઈ ગયો છે, તું અમારા ગુજરાતીનો વિરોધી થઇ ગયો છે, તું મકાન ખાલી કરીને જતો રહે, નહીં તો તને અને તારી ફેમિલીને ઉડાવી દઈશું’ તેમ કહીને ધમકી આપ્યાં બાદ તેનો કોલર પડકીને લાફા ઝીંકી દીધાં હતાં. તે જ સમયે ચેતનનાં ભાઈ આશિષે લાકડાનો ડંડો લઇ આવીને બીએમડબ્લ્યુનો આગળનો કાચ તોડી નાખ્યો હતો.
આજે તો તને જીવતો નથી જવા દેવો કહી માર માર્યો
કનુભાઇ ‘આશુતોષને કારમાંથી બહાર કાઢો, આજે ને આજે પતાવી દો, આજે તો જીવતો નથી જ જવા દેવાનો’ તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. આશુતોષને માર મારતાં હતાં ત્યારે આસપાસનાં લોકો આવી જતાં તમામ ઈસમ નાસી ગયાં હતાં. જોકે ઝપાઝપી દરમિયાન આશુતોષની ત્રણ તોલાની ચેઇન ક્યાંક પડી ગઈ હતી. આશુતોષે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આઠ ઈસમ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.