સુરતમાં દીકરાની છઠ્ઠી પર નાચતા નાચતા અચાનક પિતાનું મોત થતાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો છે. હાલ મૃતકના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
દીકરાના છઠ્ઠીના પ્રસંગમાં નાચતા પિતાનું મોત
નાચતા સમયે કિરણભાઈ થયા હતા બેભાન
હોસ્પિટલમાં તબીબોએ કિરણભાઈને મૃત જાહેર કર્યા
સુરતમાંથી હૈયું કંપાવતી ઘટના સામે આવી છે. જ્યાં દીકરાની છઠ્ઠીના દિવસે દીકરાનું નામ કરણ થઈ રહ્યું હતું. આ વચ્ચે નાચતા નાચતા અચાનક પિતાનું મોત થઈ ગયું. જોત જોતામાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો.
છઠ્ઠીના પ્રસંગમાં નાચતા બેભાન થયા હતા કિરણભાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના કોસાડ ગામમાં રહેતા કિરણ ઠાકુર ઘરે તાજેતરમાં જ દીકરાનો જન્મ થયો હતો. ગઈકાલે દીકરાની છઠ્ઠીના પ્રસંગે નામકરણ કરવામાં આવી રહ્યું હતું. ઘરે બધા મહેમાનો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. આ વેળાએ નાચતાં નાચતાં અચાનક પિતા કિરણ ઠાકુર બેભાન થઇ ગયા હતા. જે બાદ બેભાન થયેલા કિરણભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ કિરણભાઈને મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં શોકનો માહોલ છવાયો
અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. દીકરાના જન્મની ખુશીમાં દુઃખ વ્યાપી ગયું છે. આ ઘટનામાં પિતા કિરણ ઠાકુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તબીબોએ મૃતકના જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે.