દાંડી એક એવું ઐતિહાસિક સ્થળ છે કે જ્યાંથી એક ચપટી મીઠું ઉપાડીને મહાત્મા ગાંધીએ અંગ્રેજોના સામાજ્યના પાયમાં લૂણો લગાડી દીધો હતો. ત્યારે આવા ઐતિહાસિક સ્થળનો વિકાસ કરવામાં આવ્યો છે. 110 કરોડના ખર્ચે દાંડી સ્થળનો વિકાસ તો કરાયો છે, પરંતુ જે અહીં આવતા પ્રવાસીઓ માટે જે વચન આપવામાં આવ્યું હતું તેની હજુ પૂર્તતા થઈ નથી. 110 કરોડના ખર્ચે કેદ્ર સરકારે મીઠા સત્યાગ્રહ મેમોરિયલ બનાવ્યો છે, પરંતુ તેમાં મીઠું પકવીને પર્યટકોને પ્રસાદ આપવાની જાહેરાત માત્ર જાહેરાત બની રહી છે. જોઈએ આ અહેવાલ.
ગુજરાતમાં આવેલા દાંડીમાં સરકારે 110 કરોડના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે. જેનું રંગેચંગ લોકાર્પણ પણ આજથી ત્રણ માસ પહેલા પ્રધાનમંત્રીના હસ્તે કરી દેવામાં આવ્યું હતું. આ સ્મારક 15 એકર જમીનમાં ઊભું કરવામાં આવ્યું છે. સ્મારક પાસે જ ખારા પાણીનું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. આ સ્મારકનું ઉદ્ધાટન ગાંધીબાપુની પૂણ્યતિથિએ પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરાયું છે. આ સ્મારકનું આજકાલ લોકો મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે. આ સ્મારકનું મુખ્ય હાર્દ એ 'મીઠુ' છે. આ મીઠું સત્યના આગ્રહનું અને હક માટેની લડાઈનું પ્રતીક છે. માટે અહિંયા મીઠુ બનાવવા માટે સોલ્ટ મેકિંગ બિલ્ડિંગમાં પાણીના બાષ્પીભવન કરતાં 14 જાર રાખવામાં આવ્યા છે. જો કે મીઠુ ઉત્પાદન કરતા આ જાર રાખવા પાછળનો હેતું અહીં મીઠું પકવીને પ્રવાસીઓને યાદગીરી રૂપ પ્રસાદી આપવાનો હતો, પરંતુ કોઈ કારણસર અહીં આવતા પ્રવાસીઓને મીઠુ મળી રહ્યું નથી. આથી પ્રવાસીઓમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે.
મીઠા સત્યાગ્રહ મેમોરીયલમાં મૂકેલા માટલાઓમાં ઇલેક્ટ્રીક સગડી મુકવામાં આવી છે. શરૂઆતમાં દાંડીના દરિયાના ખારા પાણી માંથી મીઠું પકવીને દરેક મુલાકાતીઓને બાપુની યાદ મીઠા સ્વરૂપે આપવામાં આવતું હતું, પરંતુ પ્રોજેક્ટ બન્યાના 1 મહિના બાદ આખો મીઠાનો પ્રોજેક્ટ બંધ કરતાં પ્રવાસીઓ મીઠાની ભેટથી વંચિત રહ્યા છે. તેઓ ફરી મીઠુ આપવાની શરૂઆત કરવમાં આવે એવી માંગ કરી રહ્યા છે. ચપટી મીઠાએ દેશને આઝાદીના મીઠાં ફળો ચખાડ્યાં છે એવા મહાત્મા ગાંધીની યાદ દાંડીનો વિકાસ આઝાદી બાદ પ્રથવાર થયો છે, પરંતુ પ્રસાદીરૂપે અપાતું મીઠું બંધ કરતા પ્રવાસીઓમાં મીઠાની માંગ ઊઠી છે.