તુર્કીયેમાં આવેલા વિનાશક ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે. ત્યારે ભારતે મદદનો હાથ લંબાવી તાત્કાલિક મદદ મોકલી છે. તો કથાકાર મોરારી બાપુએ પણ ભૂકંપગ્રસ્તો માટે સહાય જાહેર કરી છે.
તુર્કીયે-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર
ભારતે તુર્કીયેમાં રેસ્ક્યૂ ટીમ સાથે મોકલ્યું વિમાન
ભૂકંપગ્રસ્તોને મોરારીબાપુ તરફથી 25 લાખની સહાય
તુર્કીયેમાં ગઈકાલે આવેલા ભૂકંપના ઝટકાથી આખો દેશ હચમચી ગયો છે. તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો ભયાનક હતો કે ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર દુનિયા આ આફતને જોઈને લાચાર બની છે અને કાટમાળ હેઠળ દબાયેલા અનેક લોકોના શબ–ઈજાગ્રસ્ત થયેલા લોકોને જોઈ સૌકોઈના હૃદય કંપી ઉઠ્યાં છે. ત્યારે ભારતે ફરી એકવાર વસુધૈવ કુટુંમ્બકમની ધારણાને સાચી ઠેરવી છે અને દુશ્મનાવટ ભૂલી મદદનો હાથ લંબાવ્યો છે. તો કથાકાર મોરારીબાપુ તરફથી પણ 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
મૃતકો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના
નેપાળના લુમ્બિની ખાતે મોરારીબાપુની રામકથા ચાલી રહી છે. ત્યારે વ્યાસપીઠની કરૂણારૂપે મોરારી બાપુએ તેમની રામકથાના દેશ-વિદેશના તમામ શ્રોતાઓને સાથે રાખી તુર્કીયેયો અને સીરિયાના ભૂકંપગ્રસ્તોને રૂપિયા 25 લાખની સંવેદના રાશિ પ્રેષિત કરવાનું જાહેર કર્યું છે. આ દુર્ઘટનામાં જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમના પ્રતિ મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી છે.
ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી
ભયંકર ભૂકંપનો સામનો કરી રહેલા તુર્કીયે માટે ભારતે સહાય મિશનની તૈયારી શરૂ કરી લીધી છે. ભારત તરફથી NDRFની બે ટીમો મોકલવામાં આવી છે. આ સાથે દવાઓ અને રાહત સામગ્રી પણ મોકલવામાં આવી રહ્યો છે. બચાવ કામગીરીમાં 5 મહિલા રેસ્ક્યુને પણ મોકલવામાં આવ્યા છે. તૂર્કીયેમાં ગાડીઓની અત્યારે અછત છે જેથી 3 ગાડીઓ પણ સાથે મોકલવામાં આવી છે. તુર્કીયે માટે ભારતમાંથી સતત મોકલવામાં આવી રહી છે.
ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટમાં ટીમને મોકલવામાં આવી તુર્કીયે
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની બે ટીમ મંગળવારે ભૂકંપથી પ્રભાવિત તુર્કીયેમાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તુર્કીયેમાં 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે હજારો લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ફેડરલ ડિઝાસ્ટર ફોર્સની સાથે બે સ્નિફર ડોગ, ફોર વ્હીલર, હથોડી, કટીંગ ટૂલ્સ, પ્રાથમિક સારવાર દવાઓ અને સંચાર પ્રણાલી પણ મોકલવામાં આવી છે. એનડીઆરએફના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, ગાઝિયાબાદ અને કોલકાતા સ્થિત ટીમોના કુલ 101 કર્મચારીઓને હિંડન એરબેઝથી ભારતીય વાયુસેના જી-17 એરક્રાફ્ટ દ્વારા સાધનો સાથે તુર્કીયે મોકલવામાં આવ્યા હતા.
સંસદીય દળની બેઠકમાં વ્યક્ત કરાયો શોક
ભાજપ સંસદીય દળની બેઠકમાં તુર્કીયે અને સીરિયાના ભૂકંપની દુર્ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતા પીએમ મોદીએ વર્ષ 2001માં આવેલા કચ્છના ભૂકંપને યાદ કરતા કહ્યું કે, 'અમે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છે. ભારત આ મુશ્કેલ સમયમાં તુર્કીયેને શક્ય તમામ મદદ કરશે.'
તુર્કીયેમાં વારંવાર ભૂકંપ આવવાનું કારણ
તુર્કીયેનો મોટાભાગનો ભાગ એનાટોલિયન પ્લેટ પર છે. આ પ્લેટની પૂર્વમાં પૂર્વ એનાટોલિયન ફોલ્ટ છે. ડાબી બાજુ ટ્રાન્સફોર્મર ફોલ્ટ છે. જે અરેબિયન પ્લેટ સાથે જોડાય છે. દક્ષિણ અને નૈઋત્યમાં આફ્રિકન પ્લેટ આવેલી છે. જ્યારે, ઉત્તર દિશામાં યુરેશિયન પ્લેટ છે, જે ઉત્તરી એનાટોલિયન ફોલ્ટ ઝોન સાથે જોડાયેલી છે. હાલમાં તુર્કીયેની નીચે આવેલી એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી રહી છે. એટલે કે, એન્ટિક્લોકવાઇઝ. વળી, અરેબિયન પ્લેટ પણ તેને ધક્કો મારી રહી છે. હવે જ્યારે અરેબિયન પ્લેટ ફરતી એનાતોલિયન પ્લેટને ધક્કો મારે છે ત્યારે તે યુરેશિયન પ્લેટ સાથે અથડાય છે. ત્યારે ભૂકંપના જોરદાર આંચકા આવે છે. તુર્કીયેમાં આવેલો ભૂકંપ 2023ના વર્ષનો સૌથી મોટો ભૂકંપ બન્યો છે. 7.9ની તીવ્રતાવાળો આ પહેલો મોટો ધરતીકંપ છે જેમાં હજારો લોકો માર્યા ગયા છે.