ટ્રાફિક અને આસ્થાના વિષયનું કારણ આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો છે
વડોદરાના રસ્તાઓ પરથી દુર થશે નોનવેજની લારીઓ
રાજકોટ બાદ વડોદરા મનપાનો કર્યો નિર્ણય
10 દિવસમાં નોનવેજ,ઇંડાની લારીઓ હટાવવા આદેશ
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમનની કાલે મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી બંધ રાખવાના આદેશનું ફરમાન કરવામાં આવ્યું છે.રાજકોટ બાદ વડોદરા મનપાએ પણ આ નિર્ણય કરતાં 10 દિવસમાં નોનવેજ,ઇંડાની ખાણીપીણીની લારીઓ હટાવવી પડશે.આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને આદેશ આપી દીધા છે. ટ્રાફિક અને આસ્થાના વિષયનું કારણ આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગઈકાલે રાજકોટ તંત્ર દ્વારા જાહેર માર્ગો પર ઉભી રહેતી ઇંડાની લારીઓ તેમજ નોનવેજની લારી પર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં DCP સહિતનો પોલીસ કાફલો લારીઓ હટાવવાના કામે લાગ્યો હતો. ફૂલછાબ ચોક, શાસ્ત્રીનગર સહિતના અનેક વિસ્તારોમાં લારીઓને જપ્ત કરવામાં આવી હતી. પણ ખાવાના રસિકોએ મનપાના નિર્ણયનો વિરોધ કર્યો છે. અને લારી વાળાઓ યોગ્ય વ્યવસ્થા કરી આપવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.
કેમ આ નિર્ણય કરવામાં આવ્યો?
આ નિર્ણય પાર્કિગ વ્યવસ્થાને સુદ્રઢ કરવા લેવામાં આવ્યો હોય તેવી માહિતી મળી રહી છે. આ તરફ મટન કે મચ્છીની દુકાન ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવા આ નિર્ણય કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.આથી અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય માર્ગો ઉપર આમલેટ અને સાઉથી ખાણીપીણીની લારીઓનો મેળાવડો જોવા મળે છે. અને બીજી તરફ ઓપ્ટિક ફાઈબર કેબલ નાખવામાં આવતા હોવાથી રસ્તાની સાઈડમાં ખોદકામ પણ ચાલુ છે. પરિણામે વાહન ચાલકો સાથે સ્થાનિક રહીશો પણ મુશ્કેલી પડી રહી છે.