દિલ્હી હાઈકોર્ટમાં DCAના હાઈ પ્રોફાઈલ કેસમાં રામ જેઠમલાણી અને અરુણ જેટલીએ પોતાના પક્ષે દલીલો કરી ગંભીર આક્ષેપ પ્રતિ આક્ષેપો મુક્યા હતા. બંને પૂર્વ મંત્રી અને દેશના કાયદા નિષ્ણાતો વચ્ચે એક પગલે સંયમ ખોઈ બેસે તેવા આક્ષેપો અને શબ્દ પ્રયોગો થયા હતા. વાંચો તેમની દલીલોના અંશ :
રામ જેઠમલાણીનું ૮ સપ્ટેમ્બરના રોજ ૯૫ વર્ષની વયે નિધન થયું છે. યોગાનુયોગે ભારતના બીજા એક હોનહાર વકીલ અને રાજકીય નેતા અરુણ જેટલીનું પણ ગયા મહિને અવસાન થયું હતું. નોંધનીય છે કે 1999-2000ની વર્ષમાં રામ જેઠમલાણી વાજપેયી સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના મંત્રી હતા. ત્યારબાદ આ સ્થાન અરુણ જેટલીએ લીધું હતું. બંને દેશના નીવડેલા કાયદાના નિષ્ણાતો હતા.
આવા દેશના સૌથી કુશળ અને અનુભવી વકીલોમાંના બે એવા રામ જેઠમલાણી અને અરુણ જેટલી દિલ્હી હાઈકોર્ટમાં દિલ્હી ક્રિકેટ એસોસિએશન DCA કેસ માટે એકબીજાની વિરુદ્ધમાં જંગે ચડ્યા.
અરવિંદ કેજરીવાલે DCAના કથિત કૌભાંડ મુદ્દે અરુણ જેટલીને જવાબદાર ગણાવ્યા હતા જેની વિરુદ્ધમાં અરુણ જેટલીએ કેજરીવાલ ઉપર 10 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસ માટે અરવિંદ કેજરીવાલે રામજેઠમલાણીને પોતાના વકીલ તરીકે રોક્યા હતા.
અરુણ જેટલી જ્યારે કોર્ટ કચેરીમાં ઉભા રહ્યા ત્યારે રામ જેઠમલાણીએ તેમને આકરા પ્રશ્નો કર્યા હતા. જેના અંશ આ મુજબ છે.
રામ : તમને કેજરીવાલથી કોઈ દુશ્મની છે?
જેટલી : મને કોઈ અંગત દુશ્મનાવટ નથી, તેમને હોય તો મને ખબર નથી. DCAના પ્રેસિડેન્ટની ચૂંટણી તો તેઓ એક વાર હારી ચુક્યા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ તેમને મારા વિરુદ્ધ જોરદાર દુઃષપ્રચાર કર્યો હતો.
રામ : તમે અમૃતસર ક્ષેત્રથી ચૂંટણી લડ્યા હતા તેની વાત કરી રહ્યા છો? શું તમે પહેલી વખત ગુજરાત સિવાયના કોઈ ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા હતા?
જેટલી : હા
રામ : તમે અમૃતસર ક્ષેત્રથી ચૂંટણી લડ્યા હતા તે વખતે ગુજરાત રાજ્યસભાના પણ સભ્ય હતા?
જેટલી : હા
રામ : એ તમારી પ્રથમ લોકસભા ચૂંટણી હતી?
જેટલી : હા હું પહેલી વાર લડ્યો હતો.
રામ : તો તમે લોકતંત્રમાં તમારી પ્રતિષ્ઠા કેટલી છે તે તપાસી રહ્યા હતા.
જેટલી : ચૂંટણી ઘણા પરિમાણો પર આધાર રાખે છે. ફક્ત પ્રતિષ્ઠાનો સવાલ નથી હોતો. કેજરીવાલ પણ વારાણસી ક્ષેત્રની 2014ની લોકસભાની ચૂંટણી હારી ગયા હતા.
રામ : મારી સલાહ માનો અને જે પૂછ્યું છે ફક્ત એનો જ જવાબ આપો. તમે બે લાખ મતથી હારી ગયા ત્યારે રાજ્યસભાના સભ્ય તરીકે 2 વર્ષનો સમય બાકી હતો?
જેટલી : હું એસોસિએશનનો પ્રમુખ હતો એ સમયે બેદીનો ચીફ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો હતો. ત્યાર પછી પણ મેં નરમ વલણ રાખ્યું હતું.
રામ : બેદીએ પીએમને એક ચિઠ્ઠી લખી છે જેમાં તમારા વિરુદ્ધ આરોપ લગાવ્યા છે.
જેટલી ; હું એ ચિઠ્ઠીના તમામ આરોપોને નકારું છું. મારા નાણામંત્રી બન્યા પછીના કાર્યકાળમાં મેં ક્યારેય BCCI અથવા DCAની કોઈ ફાઈલ સંભાળી નથી. મેં 2014 પછી સભ્ય હોવા છતાં આ સંસ્થાઓની મિટિંગો અને નિર્ણયોમાં ભાગ લેવાનું ટાળ્યું છે.
રામ : પત્રકાર મધુ કિશ્વરે ટ્વિટર પર ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે તમે અને તમારા પરિવારે DCA ના રૂપિયા ખાનગી કંપનીઓને મોકલ્યા છે. આ ટ્વિટ કેજરીવાલે પણ રિટ્વિટ કર્યું છે.
જેટલી : જાહેર જીવનમાં રહેતા લોકો માટે સોશિયલ મીડિયા ઉપર બેજવાબદાર આરોપ લાગ્યા કરે છે. પણ મુખ્યમંત્રી સ્તરે આ આરોપો થાય એ વિધાનોને સાચા માની લેવામાં આવે છે. કેજરીવાલે દુર્ભાવનાથી પ્રેરાઈને સદંતર જૂથો આક્ષેપ લગાવ્યો છે કે મારી પત્ની અને પુત્રી બોગસ કંપનીઓ સાથે જોડાયેલા છે. આ અતિશય નીચલા દરજ્જાની હરકત બદલ હું કેજરીવાલ સામે માનહાની બદલ કાયદેસર કાર્યવાહી કરવા મજબુર બન્યો છું.
રામ જેઠમલાણીએ દલીલો દરમિયાન અરુણ જેટલી માટે CROOK (બદમાશ) શબ્દનો પણ પ્રયોગ કર્યો. જો કે જેઠમલાણીએ સ્વીકાર્યું હતું કે તેમને આ શબ્દ પ્રયોગ કેજરીવાલના નિર્દેશથી જ કર્યો હતો. કેજરીવાલ ઉપરાંત પાંચ અન્ય "આપ"ના નેતાઓએ જેટલી પર વર્ષ 2000થી 2013 સુધી DCAના અધ્યક્ષપદ દરમિયાન નાણાકીય ગોટાળાના આક્ષેપ લગાવ્યા હતા.