ગાંધીનગરના એક પરિવારે ભૂવા પર ભેંસ ખરીદીને રૂપિયા ન આપ્યાનો અને માતા મૂકી હોવાનું કહીને રોકડ અને સોનાની વસ્તુઓ લઈ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભેંસ ખરીદી રૂપિયા ન આપી માતા મૂકી હોવાનું કહી પૈસા પડાવ્યા
પરિવારે ભૂવા સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં કરી લેખિત અરજી
વિજ્ઞાન અને ટેક્નોલોજીના જમાના પણ અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે, અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીંતર નહીં થવાનું થશે. ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગરના ડભોડા ગામમાંથી સામે આવી છે. ડભોડાના એક પરિવારને અંધશ્રદ્ધામાં ફસાવી ધાર્મિક વિધિના નામે રોકડ અને સોનાની વસ્તુઓ લઈ છેતરપિંડી આચરનાર ભૂવા સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
વેચેલી ભેંસના પૈસા માંગતા ઉશ્કેરાઈ ગયો
ગાંધીનગરના ડભોડા ખાતે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારના જણાવ્યા મુજબ, તેમણે વલાદર ગામના ભૂવાને 60,000 રૂપિયામાં એક ભેંસ વેચી હતી. જોકે, આ વ્યક્તિ ભેંસના પૈસા આપતો નહોતો. જેથી પરિવાર તેની પાસે સતત પૈસાની માંગણી કરી રહ્યો હતો. એક દિવસ ઉશ્કેરાયેલા ભૂવાએ ફોન પર કહ્યું હતું કે, 'તમારે ત્યાંથી લઈ ગયેલી ભેંસ મરી ગઈ છે, હવે પૈસા શેના?'.
માતા મૂકી હોવાનું કહીને પરિવારને ડરાવ્યો
આ ઉપરાંત પશુપાલનનો વ્યવસાય કરતા આ પરિવારને ભૂવાએ માતા મૂકી હોવાનું કહ્યું હતું. ભૂવાએ વધુમાં કહ્યું હતું કે, મારી માતા પાછી વાળવી હોય તો તમારે દંડના 51 હજાર રૂપિયા રોકડા તેમજ સોનાનું જુતું આપવું પડશે, તો જ મારી માતા પાછી લઈ જઈશ તેમ કહીને ડરાવ્યા હતા.
પરિવારે લગાવ્યો ભૂવા પર આક્ષેપ
પરિવારે આક્ષેપ કર્યો કે, ભૂવાની આ વાત સાંભળીને પરિવાર ખૂબ જ ડરી ગયો હતો અને પરિવારે આ વિષયમાંથી મુક્ત કરવા ભૂવાને કહ્યું હતું. જેથી ભૂવો તેના સાગરીતોને લઈને ડભોડા ગામે આવ્યો હતો અને તાંત્રિક વિધિના નામે માતા પાછી વળવાના 51,000 અને સોનાના જુતા પેટે 11,000 આમ કુલ 62,000 રૂપિયા પડાવ્યા હતા.
પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી કરાઈ
બાદમાં ભૂવાએ પશુ પાલકના ઘરે જઈને કરેલી તાંત્રિક વિધિનો વીડિયો વાયરલ કરતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. પરિવારે ડભોડા પોલીસ સ્ટેશન ખાતે ભૂવા સામે લેખિતમાં અરજી કરી હતી.
દુઃખ દૂર કરવાના નામે ભૂવાએ ખંખેર્યા હતા 35 લાખ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ધાનેરાના એક પરિવારે અંધશ્રદ્ધામાં 35 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને દુઃખ દૂર કરવાની લાલચ આપી હતી. તેઓએ આ દુઃખ દૂર કરવા માટે એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
સળગતા સવાલ
21મી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધામાં કેમ માને છે?
વિજ્ઞાનના જમાનામાં અંધશ્રદ્ધા કેટલી યોગ્ય?
લોકોની આસ્થા સાથે રમત રમનારાને કાયદાનો ભય કેમ નથી?