અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાનના વાઘા તૈયાર થઇને આવ્યા નિજમંદિરમાં, મામા વાઘા લઇને નિજ મંદિરે આવ્યા યજમાન
અમદાવાદ રથયાત્રા-2022
મામા વાજતે ગાજતે મામેરુ લઇને મંદિર આવ્યા
ઢોલ નગારાના તાલે વાઘા-આભૂષણો લવાયા મંદિરમાં
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે થોડા દિવસો બાકી છે. તમામ પરંપરાગત વિધી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાનનું મામેરુ ભરાઇ ગયા બાદ આજે યજમાન વાઘા લઇને ભગવાન જગન્નાથના મંદિર પહોંચ્યા હતા. વાજતે ગાજતે વાઘા લઇને નિજ મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી.
નાથના વાઘા લાવ્યા નિજમંદિરે
મહત્વનું છે કે આ વખતે જગન્નાથી 145મી રથયાત્રામાં ભક્તો પણ જોડાશે. ત્રણ વર્ષ બાદ ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળશે. ત્યારે આજે યજમાન દ્વારા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે ભગવાનના વાઘા, આભૂષણ મંદિરમાં લાવવામાં આવ્યા હતા. મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓ માટે વાઘા મુકવામાં આવ્યા છે. શોભાયાત્રા સ્વરૂપે ગજરાજની આગેવાનીમાં વાઘાને હર્ષોલ્લાસ ભેર મંદિરમાં લવાયા હતા. આ પ્રસંગમાં જોડાઇને ભક્તોએ પણ ધન્યતા અનુભવી હતી. તેમાં પણ ખાસ કરીને યજમાન પરિવારમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. મંદિરના પ્રાંગણમાં ઢોલ નગારાના તાલે ગરબે ઝૂમીને વાઘા લાવવામાં આવ્યા હતા
આ વખતે નાથનો કેવો હશે વેશ ?
આ વખતે ભગવાન જગન્નાથ રજવાડી વેશ ધારણ કરશે. આ માટે ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે. એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા ભગવાન ધારણ કરશે. આ ઉપરાંત સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે. મહત્વનું છે કે મદાવાદના શાહપુરમાં રહેતા સુનિલભાઇ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે.
ભગવાન જગન્નાથ સૌ પ્રથમવાર પહેરશે બખ્તર
આ વખતે એવું પહેલીવાર બનશે કે જ્યારે ભગવાન બખ્તર અને કુંડળ ધારણ કરશે. જે રીતે રાજા બખ્તર ધારણ કરતા હતા તેવી જ રીતે આ વખતે જગતનો નાથ પણ બખ્તર ધારણ કરશે. 144 વર્ષમાં ક્યારેય ભગવાનને બખ્તર નથી પહેરાવવામાં આવ્યું પણ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા બનાવવાનું કામ કરતા સુનીલભાઈ સોનીનું કહેવું છે કે પહેલાના સમયમાં રાજાઓ સોના ચાંદીનું બખ્તર પહેરતા હતા. ત્યારે આ વખતે જગતનના નાથ માટે પણ બખ્તર તૈયાર કરવામાં આવ્યું છે. જેને જોતા લાગે કે જાણે તેમાં સોના અને હીર જડવામાં આવ્યા હોય.