ભૂવો ધૂણે અને નાળિયેર ઘર તરફ ફેંકે જેવી કહેવત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નીતી પણ કંઈક આવી જ છે. તે વારંવાર વિવાદાસ્પદ કંપનીઓને કરોડોનાં કોન્ટ્રાક્ટ આપતી હોય છે. ફરી એક વાર કોર્પોરેશને વિવાદીત કંપનીને 125 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે...
વિવાદાસ્પદ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તંત્ર તલપાપડ
સ્ટ્રીટલાઈટનાં ભ્રષ્ટ્રાચારે અનેકનાં જીવ લીધાં
વિવાદાસ્પદ કંપનીને ફરી કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત
વિવાદાસ્પદ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તંત્ર તલપાપડ
દેશના ઉત્તર-પૂર્વ રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ નાગરિકોને સામાન્ય નળ, ગટર અને રસ્તાની સામાન્ય સુવિધા પણ આપી શક્યા નથી. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર તો છે જ પણ એએમસીએ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાનાં કામની લહાણી કરીને મ્યુનિસિપલ તિજોરી તળિયા ઝાટક કરવાની ઘોર ખોદનારી નીતિ પણ એટલી જ જવાબદાર છે. સિટેલુમ કંપનીને સ્ટ્રીટલાઈટનાં થાંભલાનાં મેન્ટેનન્સ પેટે કરોડો રૂપિયાની લહાણી કરવા તલપાપડ બનેલા સત્તાવાળાઓએ આનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સ્ટ્રીટલાઈટનાં ભ્રષ્ટ્રાચારે અનેકનાં જીવ લીધાં
શહેરમાં સ્ટ્રીટલાઇટના થાંભલા વારંવાર મોતના થાંભલા બન્યાં છે. હજારો થાંભલા એવા છે કે જ્યાં જંક્શન બોકસ ખુલ્લાં પડ્યાં છે. જંક્શન બોકસનાં વીજ કરંટનું વહન કરતાં વાયર પણ ઈન્સ્યુલેશન ટેપથી સુરિક્ષત રીતે જોડવાનાં બદલે અણઘડ રીતે જોડાયાં હોઈ તે ગમે ત્યારે ખુલ્લાં પડીને બાળકો અને રખડતાં ઢોર માટે મોતનું કારણ બની રહ્યા છે. ચાલુ ચોમાસામાં ખોખરા પોલીસ સ્ટેશન નજીક ત્રણ ગાયનાં વીજકરંટ લાગવાથી થયેલાં મોત કે લાંભા ગામમાં એક બાળકનું ખુલ્લાં વીજ વાયરથી કરંટ લાગતાં થયેલું મોત વગેરે મેન્ટેનન્સનાં નામે ધાંધિયાનાં આઘાતજનક ઉદાહરણ છે.
આ છે સિટેલુમનો ભ્રષ્ટાચાર
તંત્ર દ્વારા છેક વર્ષ ર૦૧૪થી સિટેલુમ ઇન્ડિયા પ્રા. લિ.ને સ્ટ્રીટલાઈટનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે. શહેરનાં મધ્ય ઝોનમાં ૧૭,ર૯૩, પૂર્વ ઝોનમાં ર૪,૪૯૩, પશ્ચિમ ઝોનમાં ૩૦,૯૬૧, નવા પશ્ચિમ ઝોનમાં ૩૧,પ૩૯, ઉત્તર ઝોનમાં ર૩,પપ૬ અને દક્ષિણ ઝોનમાં ર૭,૭૯૭ એમ કુલ ૧,પપ,૬૩૯ સ્ટ્રીટલાઇટના થાંભલા ગત જૂન-ર૦૧૯ની સ્થિતિએ હતા.
તંત્રએ પોતે કંપનીનાં કામથી સંતુષ્ટ ન હોવાની ફરિયાદો આવી હોવાનું કબુલ્યું
મ્યુનિસિપલ લાઈટ વિભાગ દ્વારા સિટેલુમને પ્રતિ થાંભલાનાં રૂ.૭૦ પ્રમાણે દર મહિને રૂ.૧.૦૯ કરોડથી વધુ અને દર વર્ષે રૂ.૧૩.૦ર કરોડથી વધુ મેન્ટેનન્સ પેટે ચૂકવાતાં હોવા છતાં તેની કામગીરીથી અમદાવાદીઓને બિલકુલ સંતોષ નથી. ખુદ લાઈટ વિભાગ પણ સ્ટ્રીટલાઈટનાં થાંભલાને લગતી દરરોજ ૭૦૦થી ૮૦૦ જેટલી ફરિયાદ આવતી હોવાની કબૂલાત કરે છે.
કંપનીની સામે વિજિલન્સની તપાસ ચાલી રહી છે
બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સિટેલુમ સામે મેન્ટેનન્સને લઈ વારંવાર ફરિયાદો થાય છે. આ કંપની સામે તંત્રની વિજિલન્સ તપાસ પણ ચાલી રહી છે.
આમ છતાં મ્યુનિસિપલ લાઇટ વિભાગ દ્વારા સિટેલુમ કંપનીને વધુ પાંચ વર્ષ માટે સ્ટ્રીટલાઇટના થાંભલાનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.
બેદરકાર કંપનીને ફરી કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત
સિટેલુમ કંપનીએ મેન્ટેનન્સનાં મામલે અન્ય કંપનીને પૂરેપૂરો સબ કોન્ટ્રાક્ટ આપ્યો છે કે પછી લેબર કોન્ટ્રાક્ટ આપ્યો છે તે અંગેની વિજિલન્સ તપાસ હજુ પૂરી થઈ નથી. પરંતુ લાઈટ વિભાગ દ્વારા આ કંપનીને પ્રતિમાસ રૂ.૧.૯પ કરોડનાં ભાવે વધુ પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે. આ દરખાસ્તને રીટેન્ડર કરાયા બાદ આવેલાં સિટેલુમ ઇન્ડિયા પ્રા. લિ.નાં સિંગલ ટેન્ડરને લાઈટ વિભાગે દર વર્ષે ત્રણ ટકાનાં ભાવવધારા સાથે મંજૂરી આપીને પણ ભારે વિવાદ ઊભો કર્યો છે.
વિવાદીત કંપનીને ભાવવધારા સાથે પૈસા ચૂકવાશે
જાણકાર સૂત્રો કહે છે કે તંત્ર દ્વારા લાઈટનો થાંભલો સ્વખર્ચે ઊભો કરાશે. તેમજ સિટેલુમ કંપનીને કેબલ સપ્લાય પણ પૂરો પડાય છે એટલે મેન્ટેનન્સનાં નામથી લાઈટ વિભાગ દ્વારા મોટુંમસ કૌભાંડ આચરાઈ રહ્યું છે. નવી દરખાસ્તથી સિટેલુમ કંપનીને હવે દર વર્ષે રૂ.ર૩.પ કરોડ અને પાંચ વર્ષમાં પ્રતિવર્ષ ત્રણ ટકાના ભાવવધારા સાથે રૂ.૧રપ કરોડ ચૂકવાશે. આજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત મંજૂરી માટે મુકાશે. દરમિયાન આ અંગે રોડ-બિલ્ડિંગ કમિટીના ચેરમેન રમેશ દેસાઈને પૂછતાં તેઓ કહે છે કે સિટેલુમ કંપની સામે વિજિલન્સ તપાસ ચાલતી હોઈ આજની બેઠકમાં દરખાસ્તને મંજૂર નહીં કરાય.