ઓલપાડમાં ભૂતકાળમાં કેમિકલયુક્ત પાણી છોડવાની અનેક ફરિયાદો બાદ હવે વેસ્ટ કેમિકલયુક્ત ઘનકચરો જાહેરમાં ઠાલવવા મુદ્દે સાઈનાઈડ કંપની વિવાદમાં છંછેડાઈ છે. જાહેરમાં ઘનકચરો ઠાલવવા મુદ્દે કંપનીના સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ એવી પ્રબળ માંગણી વિસ્તારના લોકોમાં ઉઠી છે. એટલું જ નહીં કંપનીને તાળા મારવાની માંગણી સાથે સ્થાનિક લોકો દ્વારા ફરી આંદોલન શરૂ થવાની ગતિવિધિઓ તેજ બની છે.
ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ સાઈનાઈડ કંપનીના ગેટ આગળ ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂત આગેવાનોએ માંગ કરી છે કે, વર્ષોથી કંપની માનવ વસાહત વચ્ચે કાર્યરત છે અને લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે જેથી કંપની કાયમી ધોરણે બંધ થવી જોઈએ.
ઓલપાડની સાઇનાઇડ કંપનીમાંથી નીકળતો ઝેરી રાસાયણિક કચરો ભરુચ જિલ્લામાં ઠાલવતા રંગેહાથ ઝડપાયા બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ વિવાદિત સાઈનાઈડ કંપની ઓલપાડ ગામથી એક કિમી દૂર માનવ વસાહત વચ્ચે છે.
જે વર્ષ 1982થી કાર્યરત છે.આ જોખમી કંપનીને લઈ આજુબાજુના 25 હજારથી વધુ લોકોના સ્વાસ્થ્ય અને કૃષિ ઉત્પાદન પર મોટો ખતરો ઉભો છે. જેના કારણે ખેડૂત સમાજના આગેવાનો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ધરણાં કાર્યક્રમમાં ભાજપના માજી ધારાસભ્ય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત અનેક કાર્યકરો અને નેતાઓ પણ જોડાયા હતા.
પ્રદુષણ માવનજાત માટે ઘાતક છે. તેના પરિણામો પર્યાવરણ અને માનવજાત પર ગંભીર અસર કરી રહ્યા છે. જ્યાં એક તરફ પ્રદુષણ માથી મુક્તિ માટે દેશ દુનિયામાં નવા નવા રિસર્ચ થઈ રહ્યા છે ત્યાં બીજી તરફ છેલ્લાં 40 વર્ષથી માનવવસતિ વચોવચ એક સાઈનાઈડ કંપની લોકોના આરોગ્ય માથે મોત બની જળુંબી રહી છે.
નાગરિકો આરોગ્યનો હક માગી રહ્યા છે અને સામે પક્ષે તંત્ર આખમીચામણા કરી લોકોના હિતને જોખમની ગર્તામાં ધકેલાતું મૂક સાક્ષી બની જોઈ રહ્યું છે. ત્યારે ગામલોકોના આ ધરણા કંપનીસંચાલકો અને સરકાર ચેતવણીનો ઘંટ બની રહ્યા છે.