આઝાદી મળ્યા બાદ દર પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવવાની પરંપરા છે. જે તે સમયના દરેક પ્રધાનમંત્રીએ આ પ્રથાને નિભાવી પરંતુ પ્રધાનમંત્રી મોદીએ એક વર્ષમાં બીજી વખત લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું. નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વાત તો આઝાદીની ચળવળની થઇ પરંતુ પ્રધાનમંત્રી મોદીના ભાષણના બે મુદ્દા વિવાદનો વંટોળ લઇને આવ્યા.
પ્રધાનમંત્રી એક વર્ષમાં બીજી વાર અને તેમના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો. આ કાર્યક્રમ હતો સુભાષ ચંદ્ર બોઝની યાદમાં. 21 ઓક્ટોબર 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફૌજ સરકારની સ્થાપના કરી હતી.
આ સરકારની પોતાની બેંક હતી મુદ્રા હતી ટપાલ વ્યવસ્થા અને ગુપ્તચર તંત્ર પણ હતું. જેને 75 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકારે લાલ કિલ્લા પર ભવ્ય ઉજવણી કરી પરંતુ આઝાદ ભારતમાં સ્વતંત્ર સેનાનીઓને યાદ કરે અને તેના રાજકીય અર્થ ન કાઢવામાં આવે તે શક્ય થવું મુશ્કેલ છે.
આઝાદ હિન્દ ફૌજની ટોપી પહેરીને ભાષણ આપતા પ્રધાનમંત્રી મોદીએ ઇતિહાસની ઘટનાને યાદ તો કરી પરંતુ આ સાથે જ આજના રાજકારણ અંગે `જો અને તો'ના શરતી રાજકારણનું ચિત્ર પણ જનતા સમક્ષ મૂકી દિધું. પ્રધાનમંત્રીનો સીધો આરોપ પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને અત્યારના ગાંધી પરિવાર પર હતો. એટલે કોંગ્રેસ તરફથી વળતો જવાબ આવતા વાર ન લાગી.
માત્ર કોંગ્રેસના જ દિગ્ગજ નેતા નહી એનડીએની સહયોગી પાર્ટી જેડીયુને છોડીને સરકારના વિરોધી બનેલા શરદ યાદવે પણ પ્રધાનમંત્રીના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી અને જૂના વાયદા યાદ કરાવીને મોદી સરકારના વલણ સામે જ સવાલ ઉભા કરી દીધા.
દેશમાં પાંચ રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં જ યોજાવવા જઇ રહી છે. તો 6 મહિનામાં લોકસભાની અને ઓડીશા વિધાનસભાની ચૂંટણી આવશે અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાશે.
એટલે સુભાષ ચંદ્ર બોઝના નામે કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવે તો પાંચ રાજ્યોમાં કોંગ્રેસ માટે મુશ્કેલી થઇ શકે છે. નેતાજી માટે ઓડિશા જન્મભૂમિ તો પશ્ચિમ બંગાળ કર્મભૂમિ છે. એટલે આઝાદી મળ્યા બાદ સરકાર જે પણ પક્ષની હોય પરંતુ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા અને ન કરવા પાછળ પણ રાજકીય મહાત્વકાંક્ષા દેખાઇ રહી છે. જે દુ:ખદ છે.