દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસાનું કાવતરું એક અઠવાડિયા પહેલાં એટલે કે રામ નવમીના દિવસે રચાયું હતું.
દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા મામલે મોટો ખુલાસો
હિંસાનું કાવતરું એક સપ્તાહ પહેલાં રામ નવમીના દિવસે રચાયું હતું
અંસારે રામનવમીના દિવસે કુશલ ચોક પાસે 9થી 13 લોકો સાથે બેઠક કરી હતી
દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાનજીની જન્મજયંતિ પર નિકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાનું કાવતરું એક સપ્તાહ પહેલાં જ એટલે કે રામ નવમીના દિવસે રચવામાં આવ્યું હતું. તેને અંજામ આપવા માટે ધાબા પર પથરાઓ અને ઇંટો પણ એકત્રિત કરી લેવાઇ હતી. હિંસાના મુખ્ય કાવતરાખોર અંસારે રામ નવમીના દિવસે કુશલ ચોક પાસે 9થી 13 લોકો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં હિંસાનું કાવતરું ઘડાયું હતું. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કુશલ ચોકમાંથી સરઘસ પસાર થવા દેવામાં નહીં આવે.
પોલીસે કહ્યું- મોટા ભાગના આરોપીઓની ધરપકડ, હજુ પણ ધરપકડ શરૂ છે
જહાંગીરપુરીમાં શોભાયાત્રામાં દલીલ કરનાર આરોપી અંસાર મુખ્ય કાવતરાખોર છે. તે એક સંગઠિત ગુનેગાર ગેંગ ચલાવતો હતો. આ ખુલાસો દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને સોંપેલા રિપોર્ટમાં કર્યો છે. દિલ્હી પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, જહાંગીરપુરી હિંસાના મોટા ભાગના આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. જે બાકી છે તેમની પણ ધરપકડ કરવા માટેનું ઓપરેશન ચાલુ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રામનવમીના દિવસે કુશલ ચોક પાસે કેટલાંક લોકો સાથે અંસારની મીટિંગ થઈ હતી. આ બેઠકમાં હિંસાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરઘસને કુશલ ચોકમાંથી પસાર થવા દેવામાં નહીં આવે. આ જ મુદ્દો હતો કે જે સમગ્ર ઘટનાને હિંસા તરફ દોરી ગયો.
શોભાયાત્રા પાછળ સામેલ લોકો સાથે અંસારની દલીલ થઈ હતી
જ્યારે આ શોભાયાત્રા ત્રીજી વખત પસાર થઈ રહી હતી ત્યારે અંસાર યાત્રામાં પાછળ રહેલા લોકો સાથે દલીલ કરવા ગયો હતો. જ્યાર બાદ આ પથ્થરમારો શરૂ કરાયો હતો. પોલીસ અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું કે, ષડયંત્રને અંજામ આપવા માટે, એક અઠવાડિયા પહેલાં ઘરોની છત પર પથરાઓ અને ઇંટો એકત્રિત કરવાનું શરૂ કરી દેવાયું હતું.
પોલીસને મકાનોની છત પરથી ખૂબ મોટી સંખ્યામાં ઈંટો અને પથ્થરો મળી આવ્યા
છત પર ઈંટો અને પથ્થરોના સંગ્રહની પુષ્ટિ એ વાતથી થાય છે કે જ્યારે દિલ્હી પોલીસની ફોરેન્સિક ટીમ છત પર તપાસ કરવા ગઈ ત્યારે તેઓને ત્યાંથી ઈંટો અને પથ્થરોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અંસાર પર હત્યાના બે ગુનાહિત કેસ, આર્મ્સ એક્ટ અને સટ્ટાબાજીના પાંચ ગુનાહિત કેસ દાખલ છે. ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો અંસાર એક સંગઠિત સટ્ટાબાજીની ગેંગ ચલાવતો હતો. તે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસેથી પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં તેનો ભય હતો અને લોકો તેનાથી ડરતા હતા.