રાજ્ય સરકારે પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની તૈયારી દર્શાવી વિપક્ષે નિર્ણયને હારના ડર સાથે સરખાવ્યો
પાટીદાર પરના કેસો પરત ખેંચવાનો મામલો
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ભાજપ પર સાધ્યું નિશાન
"કેસ પરત ખેંચવા એ ભાજપની કૃપા નહીં પરંતુ મજબૂરી"
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા સૌ કોઈ પોતાની વૉટબેંક મજબૂત કરવા પગ પછાડી રહ્યું છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન પર થયેલા કેસોને પરત લેવા માટે રાજકારણ ગરમાયું છે. સરકારે આ મામલે હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે. રાજ્ય સરકારે પાટીદાર યુવાનો પર થયેલા કેસો પરત ખેંચવાની તૈયારી દર્શાવી છે.
પાટીદાર સમાજ પર કૃપાના નામે પ્રાયશ્ચિત કરવાની ભાવના
ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આગામી વિધાનસભાની 2022ની ચૂંટણીમાં હારના ડરના કારણે ભાજપ કેસો પાછા ખેંચવા તૈયારી કરી રહ્યું છે. પાટીદાર સમાજના આંદોલનકારીઓ ઉપર કરેલા કેસ પરત ખેંચવા એ ભાજપની કૃપા નહીં પરંતુ મજબૂરી છે. ભાજપ પાટીદાર સમાજ પર કૃપાના નામે પ્રાયશ્ચિત કરવાની ભાવના વ્યક્ત કરી રહ્યું છે. ચૂંટણી સમયે પાટીદાર અનામતના કેસ પરતનો મુદ્દો રાજકીય રૂપ લઈ રહ્યો છે. સરકાર અને વિપક્ષ બંને મતનું રાજકારણ
પાટીદાર સાંસદો અચાનક કેસ પરત બાબતે CM પટેલને મળ્યા ગયા હતા
ગઈ કાલે ભાજપના તમામ પાટીદાર સાંસદોએ સમાજની મુખ્ય રજૂઆતને સીએમ સુધી પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.સરકાર તાત્કાલિક અનામત અંદોલન સમયના કેસો પાછા ખેંચે તેવી રજૂઆત કરવા ભાજપના તમામ પાટીદાર સાંસદો દિલ્હીથી સીધા જ ગાંધીનગર પહોંચ્યાં હતા. એકસાથે CMને રજૂઆત કરી બાકી રહેલા 140 કેસો પાછા ખેચવા તેમજ અનામત વખતે જીવ ગુમાવેલા પાટીદાર નેતાઓના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી આપવા રજૂઆત કરવામાં આવી છે. બેઠક બાદ સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે અનામત આંદોલન વખતે પાટીદાર સમાજની સાથે અન્ય સમાજની લાગણી પણ દુભાણી હોય તો તેમના પણ કેસ પરત ખેંચવાની રજૂઆત કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આમારી રજૂઆતનો હકારાત્મક જવાબ આપ્યો છે. થોડા સમયમાં સરકાર નિર્ણય લેશે તેવુ આશ્વાસન આપ્યું છે.
હાર્દિક પટેલના સામે થયેલા કેસો પરત લેવાશે કે પછી..? રમેશ ધડૂકનું નિવેદન અલગ ઈશારો કરી રહ્યું છે
નરેશ પટેલ સાથે પાટીદાર આગેવાનો સાથે પાટીદારની મુખ્ય સંસ્થાઓ પણ કેસ પરત ખેંચવાની માંગણી કરી રહી છે. કેસને રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો ચૂંટણી માહોલ બન્યો છે મામલો ગરમ છે તેના પર સૌ કોઈ રોટલા શેકી રહ્યા છે. પણ એક મોટો સવાલ છે કે શું તમામ કેસ પરત ખેચાશે ? અને એમાંય ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને ગુજરાત કોંગ્રેસનો કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના કેસનું શું થશે? જો ગઈકાલે સીએમ સાથેની બેઠક બાદ રમેશ ધડૂકના નિવેદન પર નજર કરીએ તો પોરબંદરના આ સાંસદે એવું કહ્યું કે જો સામાન્ય ગુનામાં કે કોઈ કાવતરા વગર આવેગમાં આવી આંદોલન સમયે પાટીદાર પર કેસ થયા હશે તો પરત લેવામાં આવે તેવી આમારી રજૂઆત હતી..રાજદ્રોહ અને અન્ય ગંભીર ગુનામાં કેસ થયા હોય તો સરકાર કેસ પાછા લે કે ન પણ લે તે નિર્ણય સરકાર કરશે તેવી વાત પણ સાંસદે કરી હતી..તો આ નિવેદનનો સીધો મતલબ એ છે કે શું હાર્દિક પટેલ પર થયેલા કેસો પરત ખેચવામાં નહીં આવે? રાજનીતિમાં સવાલ અનેક છે અને જવાબ એક જ સરકારની નીતિ.. ત્યારે શું હાલની પટેલ સરકાર પટેલ દીકરાએ સમાજ માટે થઈ કરેલા આંદોલનને ભૂલી જઈ તમામ કેસોમાંથી મુક્તિ આપશે કે પછી આમાંય કઈક નવું જ કરશે?